Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

પીયુસી ન હોય તો આરસી સસ્પેન્ડ કરી શકાય : સુપ્રીમ કોર્ટે

મધ્યપ્રદેશ સરકારની અપીલ પર મહત્વનો નિર્ણય : પ્રદુષણ માપદંડના ઉલ્લંઘન ઉપર આરસી સસ્પેન્શન ઉપરાંત વાહન માલિક માટે છ મહિનાની જેલની સજા

નવી દિલ્હી, તા. ૨૯ : જો વાહનનું પીયુસી (પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ) ન હોય તો એવા વાહનોનાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)ને સસ્પેન્ડ કે કેન્સલ કરવું જોઈએ, તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ સાથે સુપ્રીમે એમ પણ કહ્યું છે કે પર્યાવરણના હિતમાં વાહનમાલિક પાસેથી દંડ પણ વસૂલાવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મધ્યપ્રદેશ સરકારની એક અપીલ પર આપ્યો છે. આ અપીલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સેન્ટ્રલ ઝોન ભોપાલના ૨૧ એપ્રિલ ૨૦૧૫ના એક આદેશ સામે હતી. પાંચ વર્ષ પહેલા એનજીટીએ પીયુસી વગરના વાહનોની આરસી સસ્પેન્ડ કરવા અને તેને ઈંધણ ન દેવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેંચે શુક્રવારે આ કેસની સુનાવણી કરી હતી. જોકે, કોર્ટે નિયમ તોડનાર વાહનને પેટ્રોલ ન આપવાના આદેશને રદ્દ કરી દીધો હતો .બેંચે કહ્યું કે પીયુસીવાળા વાહનના માલિક કે તેને ચલાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ વ્હીકલ રુલ્સ ૧૯૮૯ના રુલ્સ ૧૧૫ અને ૧૧૬માં પ્રદુષણના માપદંડ અને તેના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ કરાઈ છે. તે મુજબ પ્રદુષણ માપદંડના ઉલ્લંઘન પર આરસી સસ્પેન્શન ઉપરાંત વાહન માલિક માટે ૬ મહિનાની જેલની સજા કે ૧૦ હજારનો દંડ ફટકારી શકાય છે. આ ઉપરાંત વાહન ચાલકના લાયસન્સને ૩ મહિના માટે ડિસક્વાલિફાઈ કરી શકાય છે.

ઓગસ્ટ ૨૦૧૫માં જ્યારે મધ્યપ્રદેશ સરકારને ઈંધણ બેનના ચુકાદાને પડકાર્યો હતો. એનજીટીએ રાજ્ય સરકારને એક સપ્તાહમાં ૨૫ કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો હતો.

(9:12 pm IST)