Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અનલોક-4 ની ગાઈડલાઈન જાહેર કરતું કેન્દ્રિય ગૃહ મંત્રાલય : શાળા -કોલેજો 30 સપ્ટેમ્બર સુધી બંધ : 7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરાશે : 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને અન્ય આયોજનોમાં 100 લોકોની મર્યાદામાં કરી શકાશે આયોજન

21 સપ્ટેમ્બરથી કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અમુક છૂટછાટો સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી શકાશે : સિનેમાગૃહો, સ્વિમિંગ પૂલ, મનોરંજન માટેના પાર્ક, થિયેટર (ઓપન ઍર થિયેટરો સિવાય) હજુ ચાલુ નહીં થાય : કોઇ પણ રાજ્ય, કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા વગર હવે કન્ટેનમેન્ટ ઝોન બહાર લોકડાઉન લગાવી નહીં શકે

નવી દિલ્હીઃ કોરોના કહેર વચ્ચે દેશને ધીરે-ધીરે અનલોક કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-4ની ગાઇડલાઇન રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 1 સપ્ટેમ્બર, 2020થી સમગ્ર દેશમાં કઈકઈ પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી શકાશે અને કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેની સ્પષ્ટતા કરાઈ છે. તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંબંધિત વિભાગો સાથે સલાહ મસલત બાદ આ નવી ગાઇડલાઇન દેશભરમાં લાગુ કરવા માટે તૈયાર કરાઈ હતી.

7 સપ્ટેમ્બર, 2020થી તબક્કાવાર મેટ્રો રેલસુવિધા ફરી શરૂ કરાશે. જોકે આ અંગે મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફૅર્સ દ્વારા નક્કી કરાયેલાં ધોરણો અનુસરવાનાં રહેશે. 21 સપ્ટેમ્બરથી સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય અને અન્ય આયોજનોમાં 100 લોકોની મર્યાદામાં રહીને આયોજિત કરી શકાશે. 21 સપ્ટેમ્બરથી ઓપન ઍર થિયેટરોને પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેની મંજૂરી રહેશે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની સલાહ મસલત બાદ સ્કૂલો, કૉલેજો, શૈક્ષણિક સંસ્થાનો અને કૉચિંગ સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રખાશે. જોકે, ઑનલાઇન અને ડિસ્ટન્સિંગ લર્નિગ પ્રોગ્રામ ચાલુ રખાશે. 21 સપ્ટેમ્બરથી કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અમુક છૂટછાટો સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી શકાશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઑનલાઇન શિક્ષણ અને ટેલિ-કાઉન્સેલિંગને લગતાં કાર્યો માટે 50 ટકા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને સ્કૂલે બોલાવવાની પરવાનગી હશે.

કન્ટેઇન્મૅન્ટ ઝોનની બહાર રહેલી સ્કૂલોના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવાના હેતુસર શાળાની સ્વૈચ્છિક મુલાકાત લઈ શકશે, જોકે, આ હેતુ માટે વાલીએ લેખિતમાં પરવાનગી આપવાની રહેશે. નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટોને કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને લગતી તાલીમ આપવાની પરવાનગી રહેશે.

સંશોધન (Ph.D) કરી રહેલા વિદ્યાર્થીઓ માટેનાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો અને ટૅક્નિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામ કે જેમાં લૅબોરેટરી કે પ્રયોગશાળાની જરૂરિયાત હોય, તેમને પરવાનગી અપાશે. જોકે, રાજ્યમાં જે-તે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને ડિપાર્ટમેન્ટ હાયર ઍજ્યુકેશન અને ગૃહમંત્રાલયના નિર્દેશ પ્રમાણે આ પ્રવૃત્તિઓ શરૂ કરી શકાશે.

સિનેમાગૃહો, સ્વિમિંગ પૂલ, મનોરંજન માટેના પાર્ક, થિયેટર (ઓપન ઍર થિયેટરો સિવાય) અને તેમનાં જેવાં સ્થળો સિવાય તમામ પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે. આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર પ્રતિબંધ ચાલુ રહેશે, જોકે, ગૃહમંત્રાલય દ્વારા મંજૂરી સાથે કરાતી આંતરરાષ્ટ્રીય મુસાફરી માન્ય ગણાશે.

કોઇ પણ રાજ્ય, કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા વગર હવે કન્ટેનમેન્ટ ઝોન બહાર લોકડાઉન નહીં લગાવી શકે.

(9:20 pm IST)