Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આજે વિશ્વ હૃદય દિવસઃ જાણો કેમ ૨૯ સપ્ટેમ્બરે જ ઉજવાય છે

નવી દિલ્હી, તા.૨૯: હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. આ જ કારણ છે કે દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે, જેથી લોકોને હાર્ટની હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવે. કોરોના મહામારી દરમિયાન હૃદયના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સિવાય ખોટા આહાર અને જીવનશૈલીને કારણે હૃદયનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થયું છે. વિશ્વમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વભરમાં થઈ રહેલા સંશોધન અને સર્વે રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, આજકાલ યુવાનો પણ હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિશ્વ હૃદય દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને તેમના હૃદય પ્રત્યે જાગૃત કરવાનો છે.

જો તમારે હૃદયનું સ્વાસ્થ્ય સારુ રાખવુ છે, તો સૌથી પહેલા તમારે તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા પડશે. મોડી રાત સુધી જાગવાનું ટાળો અને રાત્રે વધુ ગેજેટ્સનો ઉપયોગ કરવાનું પણ ટાળો.

આહારનું વિશેષ ધ્યાન રાખો અને ખોરાકમાં વધુ લો-કાર્બ અને ચરબીયુકત ખોરાક લો. સાંજે ૬ કે ૭ પછી કંઈપણ ન ખાવાનો પ્રયત્ન કરો. આ સિવાય સવારે વધારેમાં વધારે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક લો.

હૃદયની તંદુરસ્તી માટે કાર્ડિયો કસરત વધુ સારી માનવામાં આવે છે. દરરોજ ઓછામાં ઓછી ૪૦ મિનિટ માટે ઝડપી ચાલવાની અથવા સાયકલ કરવાની કસરત કરો. આ સિવાય સ્વિમિંગ કરવાથી પણ હૃદયને ફાયદો થાય છે.

હૃદયના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, WHOએ વર્ષ ૨૦૦૦થી વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસ ઉજવવાની જાહેરાત કરી. અગાઉ આ દિવસ સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવતો હતો, પરંતુ વર્ષ ૨૦૧૪થી ૨૯ સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે.

(3:20 pm IST)