Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઇશનિંદાના આરોપમાં કોર્ટે મહિલાને મોતની સજા ફટકારી

પ૦૦૦ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારાયો : ર૦૧૩માં એક સ્થાનિક મૌલવીની ફરીયાદના આધારે સલમા તનવીરની વિરૂદ્ધ ઇશનિંદાનો મામલો નોંધાયો હતો

લાહોર,તા.૨૯ : પાકિસ્તાનની એક કોર્ટે ઈશનિંદાના આરોપમાં સ્કૂલની એક મહિલા પ્રિન્સિપાલને મોતની સજા સંભળાવી છે. લાહોરની જિલ્લા તથા સત્ર કોર્ટે નિશ્તર કોલોનીની એક પ્રાઇવેટ સ્કૂલની મહિલા પ્રિન્સિપાલ સલમા તનવીરને મોતની સજા સંભળવી છે.

તેમની પર ૫૦૦૦ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. એડિશનલ જિલ્લા તથા સત્ર કોર્ટના ન્યાયાધીશ મંસૂર અહમદે ચુકાદો સંભળાવતા કહ્યું કે, સલમા તનવીરની વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધવામાં આવ્યો હતો. તેમની પર પયગંબર મોહમ્મદને ઈસ્લામના અંતિમ પયગંબર ન માનીને ઈશનિંદા કરી. લાહોર પોલીસે વર્ષ ૨૦૧૩માં એક સ્થાનિક મૌલવીની ફરિયાદના આધારે સલમા તનવીરની વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધી દીધો હતો. તેમની પર મોહમ્મદ પયગંબરને ઈસ્લામના અંતિમ પયગંબર ન માનવા અને પોતે ઈસ્લામના પયગંબર હોવાનો દાવો કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. સલમા તનવીરના વકીલ મુહમ્મદ રમઝાને દલીલ કરી હતી કે તનવીરની માનસિક સ્થિતિ ઠીક નથી અને કોર્ટે આ તથ્ય પર ધ્યાન આપવું જોઈએ. ફરિયાદી પક્ષ દ્વાર કોર્ટમાં સોંપવામાં આવેલા પંજાબ ઇન્ટિ કટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક મેડિકલ બોર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંદિગ્ધ કેસ ચલાવવા માટે ફિટ છે, કારણ કે તેમની માનસિક સ્થિતિ બિલકુલ ઠીક છે. આ રિપોર્ટના આધારે કોર્ટે સલમા તનવીરના વકીલની દલિલોને ફગાવી દીધી હતી. પાકિસ્તાનના વિવાદાસ્પદ ઈશનિંદા કાયદો અને તેમાં નિર્ધારિત દંડને ખૂબ કઠોર માનવામાં આવે છે.

પાકિસ્તાનમાં વર્ષ ૧૯૮૭થી ઇશનિંદા કાયદા હેઠળ ઓછામાં ઓછા ૧૪૭૨ લોકો પર આરોપ લગવવામાં આવ્યા છે. ઈશનિંદાના આરોપી સામાન્ય રીતે પોતાની પસંદગીના વકીલ રાખવાના અધિકારથી વંચિત રહી જાય છે, કારણ કે મોટાભાગના વકીલ આવા સંવેદનશીલ મામલાને સ્વીકારવામાં ઈક્નાર કરે છે. ઈશનિંદા કાયદો કોલોનોયિયલ સમયનો કાયદો છે, પરંતુ પૂર્વ તાનાશાહ જનરલ ઝિયા-ઉલ-હકે તેમાં સંશોધન કર્યું હતું જેનાથી નિર્ધારિત દંડની ગંભીરતા વધી ગઈ. ૨૦૧૦માં એક મહિલાને પડોશીઓથી વિવાદ થતાં ઈસ્લામના અપમાન કરવાને લઈ દોષી ઠેરવવામાં આવી હતી અને તેને આઠ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

(3:48 pm IST)