Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કોરોનાના ૪ લાખથી વધુ એકટિવ કેસ

૨૪ કલાકમાં ૪૪,૨૩૦ લોકો થયા સંક્રમિતઃ ૫૫૫ દર્દીઓના મોત

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૨,૩૬૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

નવી દિલ્હી, તા.૩૦: છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૫૫૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૫,૭૨,૩૪૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૫,૬૦,૩૩,૭૫૪ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૭ લાખ ૪૩ હજાર ૯૭૨ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૪૨,૩૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૦૫,૧૫૫ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૩,૨૧૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૬,૪૬,૫૦,૭૨૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૮,૧૬,૨૭૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭ કેસ નોંધાયા છે. જેની સામે ૩૩ દર્દીઓ સાજા થયા છે. ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૬ છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૫ ટકા છે. અત્યાર સુધીમાં ૩,૨૬,૧૪,૪૬૧ ડોઝ કોરોના વેકસીનના આપવામાં આવ્યા છે. ગુરૂવારે કુલ ૪,૩૯,૦૪૫ વ્યકિતઓનું રસીકરણ થયું છે.બીજી તરફ અમદાવાદમાં ૮, સુરતમાં ૫, વડોદરામાં ૬, ભાવનગરમાં ૪, દાહોદ, જૂનાગઢમાં ૩-૩, વલસાડ, જામનગરમાં ૨-૨, નવસારી, અમરેલી, ખેડામાં ૧-૧ સહિત કુલ ૩૩ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ ૨૬૮ દર્દીઓ એકિટવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજયમાં ૨૬૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાં અત્યાર સુધીમાં ૮૧૪૪૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(11:55 am IST)