Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોના મત મુજબ

રસીના બે ડોઝ લેનાર લોકોમાં પણ લક્ષણો દેખાઇ રહ્યા છે

જેનું રસીકરણ નથી થયું, તેનામાં છીંક આવવી, તાવ આવવો અને એલર્જી થવાના લક્ષણ જોવા મળે તેવી શકયતા વધુ

નવી દિલ્હી,તા.૩૦: વર્તમાન સમયે રસીકરણ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવાનું હથિયાર છે. જેથી વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોના વાયરસ અત્યારસુધીમાં ઘણા રૂ.પ બદલી ચૂક્યો છે. નવાં નવાં વેરિએન્ટ સામે આવી રહ્યા છે અને લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. આ દરમિયાન કોરોના રસી લીધી હોય તેવા લોકોમાં પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે.

લંડનમાં થયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, રસીના બે ડોઝ લઈ ચૂકેલા લોકોમાં ઉધરસ, તાવ અને સૂંઘવાની ક્ષમતા ઓછી થવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોના મત મુજબ જે લોકોનું રસીકરણ નથી થયું, તેમનામાં છીંક આવવી, તાવ આવવો અને એલર્જી થવાના લક્ષણ જોવા મળે તેવી શક્યતા વધુ છે. અભ્યાસમાં વધુમાં જણાવાયું છે કે, રસી લેનાર લોકો પણ રસી ન લીધી હોય તેવા લોકો જેવા જ લક્ષણો અનુભવે છે. જોકે, રસી લેનાર લોકોમાં લક્ષણો હળવા હોય છે.

આ રિપોર્ટ માટે ઓનલાઈન એપનો ઉપયોગ થયો હતો. જેમાં સંક્રમિત લોકોએ કોરોનાના લક્ષણોની જાણ કરી હતી. અભ્યાસના તારણ મુજબ કોરોનાના લક્ષણો બદલાઈ ગયા છે. જેની પાછળ બ્રિટનમાં હાહાકાર મચાવનાર ડેલ્ટા વેરિયન્ટ કારણભૂત હોય શકે છે. રસીકરણ થઈ ગયું હોય તેવા લોકોએ ટૂંકા સમયમાં હળવા લક્ષણોની જાણ કરી હતી. જેના પરથી કહી શકાય કે, હવે રસી લેનાર લોકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. અલબત્ત રિસર્ચના ફ્રેશ ડેટા પરથી જાણવા મળ્યું કે, રસી લેનાર લોકોમાં હળવા લક્ષણ હતા અને રસીકરણ ગંભીર કે જીવલેણ કોરોનાના સંક્રમણને રોકે છે. તજજ્ઞોનું કહેવું છે કે, છીંક આવવી વાયરસ ફેલાવા પાછળનું મોટું કારણ છે. જેથી લોકોએ જાહેર સ્થળોએ છીંક ખાઈને ડ્રોપલેટ્સ ન ફેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત યોગ્ય રીતે હાથ ધોયા ન હોય તો આંખ, નાક અને મોઢાને અડવાથી બચવું જોઈએ. મેંજ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં થયેલા ગુટેનબર્ગ કોવિડ ૧૯ અભ્યાસથી ખબર પડી છે કે, SARS-CoV-2થી સંક્રમિત તમામ લોકો ૪૦ ટકાથી વધુ લોકો પોતાને કોરોના સંક્રમણ લાગ્યું હોવાની વાતથી અજાણ હતા. તજજ્ઞોનું કહેવું છે કે કોરોનાના બદલાતા લક્ષણોના કારણે યુવાવર્ગ વધુ સંક્રમિત થાય તેવી શક્યતા છે. જેથી ગંભીર બીમારીનો અનુભવ ન થતો હોય તો પણ સાવધાન રહેવું પડશે.

(4:02 pm IST)