Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બિટકોઈનને માન્યતાનો નાણાંમંત્રીનો સ્પષ્ટ ઈનકાર

સંસદમાં કુલ ૨૬ પ્રસ્તાવો પર ચર્ચા થશે : સરકાર બિટકોઈન લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી, નિર્મલા સિતારમણે સંસદમાં સ્પષ્ટતા કરી

નવી દિલ્હી, તા.૨૯ : સંસદમાં આજથી એટલે કે, સોમવારથી શીતકાલીન સત્રની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં સંસદમાં કૃષિ કાયદા, ક્રિપ્ટોકરન્સી સહિતના કુલ ૨૬ પ્રસ્તાવો પર ચર્ચા થશે. બધા વચ્ચે સોમવારે લોકસભામાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે પોતાના જવાબમાં કહ્યું હતું કે, બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. સાથે મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, સરકાર બિટકોઈન લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી.

હકીકતે સાંસદ સુમલતા અંબરીશ અને ડીકે સુરેશે સરકારને સવાલ કર્યો હતો કે, 'શું સરકાર પાસે દેશમાં બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ છે?' તેના જવાબમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, 'ના, સર.'

થોલના સાંસદ થિરૂમાવલવને નાણા મંત્રાલયને સવાલ કર્યો હતો કે, શું સરકારને ભારતમાં ક્રિપ્ટો કરન્સીના વેપાર અંગેની જાણકારી છે? શું ભારતમાં ક્રિપ્ટોકરન્સીને વ્યાપાર માટે કાયદાકીય મંજૂરી છે? સાથે એવો સવાલ પણ કર્યો હતો કે, શું સરકારે ભારતમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને કાયદાકીય રીતે મંજૂરી આપી છે ? તેના જવાબમાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, સરકાર બિટકોઈનની લેવડ-દેવડ અંગેનો ડેટા એકત્રિત નથી કરતી. ભારતમાં ક્રિપ્ટોકરન્સી અનિયંત્રિત છે. આરબીઆઈએ પણ ૩૧ મે, ૨૦૨૧ના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પોતાના ગ્રાહકને (કેવાઈસી), એન્ટી મની લોન્ડ્રિંગ (એએમએલ), કોમ્બેટિંગ ઓફ ફાઈનાન્સ (સીએફટી) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ), ૨૦૦૨ના ધોરણોને નિયંત્રિત કરનારા નિયમો પ્રમાણે ક્રિપ્ટોકરન્સીમાં લેવડ-દેવડની પ્રક્રિયાઓ ચાલુ રાખી શકે છે.

સંસદમાં જ્યારે ' ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, ૨૦૨૧' રજૂ કરવા અંગેની ચર્ચા ચાલી રહી છે ત્યારે સરકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સરકાર સંસદમાં જે બિલ લાવવાની છે તેની યાદીમાં ૧૦મા નંબરે સ્પષ્ટ લખેલું છે કે, ભવિષ્યમાં આરબીઆઈ દ્વારા લોન્ચ થનારી ડિજિટલ કરન્સી સિવાયની તમામ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકી દેવાશે.

(7:08 pm IST)