Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબનો પહેલી ડિસેમ્બરે થશે નાર્કો ટેસ્ટ :કોર્ટે દિલ્હી પોલીસને આપી પરવાનગી

આ પહેલા 5 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવાની ડેટ ફાઇનલ થઇ હતી

નવી દિલ્હી :શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ એક ડિસેમ્બરે થશે. કોર્ટે દિલ્હી પોલીસને નાર્કો ટેસ્ટ કરાવવાની પરવાનગી આપી દીધી છે. હવે દિલ્હી પોલીસને આશા છે કે આફતાબનું સત્ય સામે આવશે.

પહેલા 5 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવાની ડેટ ફાઇનલ થઇ હતી. આ પહેલા સોમવારે આફતાબ પર થયેલા હુમલા બાદ મંગળવારે દિલ્હી પોલીસ પૉલીગ્રાફ ટેસ્ટ માચે સુરક્ષા વચ્ચે રોહિણી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં લઇ ગઇ હતી. સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કર્મી અને સીમા સુરક્ષા દળ (BSF)ના જવાન FSL કાર્યાલયની બહાર તૈનાત હતા.

સોમવારે સાંજના સમયે કેટલાક લોકોએ તલવારથી આફતાબની વેન પર હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે સ્થિતિને સંભાળી હતી, તે પછી આફતાબની સુરક્ષાને વધારી દેવામાં આવી છે.

 

શ્રદ્ધા મર્ડર કેસની તપાસ કરી રહેલી પોલીસને આફતાબના ફ્લેટના બાથરૂમ, બેડરૂમ અને કિચનમાંથી લોહીના નિશાન મળ્યા છે. તપાસમાં પોલીસને તેના ફ્લેટમાંથી કેટલાક કપડા પણ મળ્યા છે. દિલ્હી પોલીસે તે કપડાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે.

 

રોહિણી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓએ આફતાબનો સાત કલાક સુધી પૉલીગ્રાફ ટેસ્ટ કર્યો હતો. શ્રદ્ધા હત્યાકાંડમાં આરોપી આફતાબે પૉલીગ્રાફ ટેસ્ટ દરમિયાન કહ્યુ હતુ કે, તેને સિગારેટ પીવાની ઇચ્છા થઇ રહી છે, તેને એફએસએલના જાણકારો પાસે સિગારેટ માંગી હતી પરંતુ આરોપીને સિગારેટ આપવામાં આવી નહતી.

નાર્કો ટેસ્ટ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા માણસને ટ્રૂથ સીરમ આપવામાં આવે છે. એક ખાસ ઇન્જેક્શન આપવામાં આવે છે જેમાં માણસ પોતાના વિચારવાની પ્રક્રિયાને ખતમ કરી નાખે છે. તે બિલકુલ શૂન્ય બની જાય છે. આ સીરમના કેટલાક સાઇડ ઇફેક્ટ પણ હોય છે, તેને આપવા માટે એક્સપર્ટની ટીમ અને ડૉક્ટર્સની ટીમની હાજરી જરૂરી છે. નબળા અથવા માનસિક રીતે નબળા લોકોનો આ ટેસ્ટ કરવામાં નથી આવતો. સીરમ લાગ્યા બાદ વ્યક્તિને સવાલ પૂછવામાં આવે છે, તેની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી થાય છે.

(9:40 pm IST)