Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અયોધ્યામાં મંદિર નિર્માણ રોકી બતાવો : ગૃહ મંત્રી અમિત શાહ

યુપીની ચૂંટણીઓ પહેલાં વિપક્ષોને અમિત શાહનો પડકાર : કોંગ્રેસ-સપાએ મંદિર ના બને તે માટે પ્રયત્ન કર્યા છતાં આજે રામ મંદિરનું નિર્માણ પૂરજોશમાં થતું હોવાનો દાવો

લખનૌ, તા.૩૧ : યુપીની ચૂંટણી નજીક છે ત્યારે અયોધ્યા પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓને પડકાર ફેંકયો છે કે, રામ લલાનુ મંદિર બની રહ્યુ છે અને જોર શોરથી બની રહ્યુ છે, જો તાકાત હોય તો રોકી બતાવો. કોઈનામાં મંદિર બનતુ રોકવાનો દમ નથી.

અમિત શાહે અયોધ્યા પહોંચીને પહેલા રામ મંદિર નિર્માણ સમિતિના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.સૌથી પહેલા તેમણે હનુમાન ગઢીમાં દર્શન કર્યા હતા અને એ પછી રામ મંદિરમાં દર્શન કર્યા હતા.તેમણે મંદિરના નિર્માણ કાર્યની જાણકારી પણ મેળવી હતી.અયોધ્યામાં તેઓ એક જાહેરસભાને પણ સંબોધિત કરવાના છે.

અમિત શાહે કહ્યુ હતુ કે, વર્ષો સુધી શ્રી રામના જન્મસ્થાન માટે સંઘર્ષ ચાલ્યો છે.સેંકડો લોકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યુ છે.૭૫ વર્ષ પહેલા સરદાર પટેલે સોમનાથ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને ૭૫ વર્ષ બાદ પીએમ મોદીએ રામ મંદિર માટે ભૂમી પૂજન કર્યુ હતુ.કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ રામ મંદિર ના બને તે માટે બહુ પ્રયત્ન કર્યા છે.આમ છતા આજે રામ મંદિરનુ નિર્માણ પૂરજોશમાં થઈ રહ્યુ છે.આટલા વર્ષો સુધી રામ લલાને ટેન્ટમાં કેમ રહેવુ પડ્યુ હતુ અને રામ ભક્તો પર ગોળી કોણે ચલાવી તે આપણે યાદ રાખવાની જરુર છે.

આ પહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટ દાવો કરી ચુકયુ છે કે, ૨૦૨૩ પહેલા મંદિરના પહેલા તબક્કાનુ કામ પુરુ થઈ જશે.એ પછી મંદિર ભાવિકો માટે ખોલી નાંખવામાં આવશે.સાથે સાથે અહીંયા એક એરપોર્ટ બનાવાઈ રહ્યુ છે.જાન્યુઆરી મહિનામાં પીએમ મોદી તેનો શિલાન્યાસ કરે તેવી શક્યતા છે.

(7:24 pm IST)