શરદ પવાર ખુદ કૃષિ સુધારાની તરફેણમાં હતા : કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરનો પલટવાર
તેમણે ખુદ પહેલા કૃષિ સુધાર લાવવા માટે આકરી મહેનત કરી છે
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર પર પલટવાર કર્યો છે. તોમરે કહ્યુ કે, શરદ પવાર એક અનુભવી નેતા છે અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ છે. જેને કૃષિ સંબંધિત મુદ્દા અને સમાધાનો વિશે સારી જાણકારી પ્રાપ્ત છે. તેમણે ખુદ પહેલા કૃષિ સુધાર લાવવા માટે આકરી મહેનત કરી છે અને કૃષિ કાયદાને લઈને ખોટા તથ્યો જણાવી રહ્યાં છે. આ સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોશિયલ મીડિયા દ્વારા કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પૂર્વ કૃષિ મંત્રી શરદ પવાર એ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, તેમના કાર્યકાળ દરમિયાન, વિશેષ બજાર સ્થાપિત કરવા માટે ડ્રાફ્ટ એપીએમસી નિયમાવલી 2007 તૈયાર કરવામાં આવી હતી, જેથી કિસાનોને પોતાનો પાક વેંચવા માટે વૈકલ્પિક મંચ ઉપલબ્ધ કરાવી શકાય અને હાલની માર્કેટ સિસ્ટમને મજબૂત કરવા માટે વધુ સાવધાની રાખવામાં આવી. મહત્વનું છે કે શરદ પવાર 2004થી 2014 સુધી કેન્દ્રીય કૃષિ મંત્રી રહ્યા હતા
શરદ પવાર પર પલટવાર કરતા કેન્દ્રીય મંત્રી તોમરએ કહ્યુ કે, નવી પરિસ્થિતિ પ્રમાણે યાર્ડ પ્રભાવિત થતા નથી. તેના બદલે તેઓ સેવાઓ અને માળખાગત બાબતોમાં વધુ સ્પર્ધાત્મક અને ખર્ચ અસરકારક બનશે અને બંને સિસ્ટમો ખેડૂતોના સામાન્ય હિત માટે સહ અસ્તિત્વમાં હશે.