૭૨% લોકોએ સ્વીકાર્યું : મોદી પીએમ બન્યા બાદ વધી છે મોંઘવારી
૨૦૨૦માં માત્ર ૧૦.૮ ટકા લોકોએ કહ્યુ કે , કિંમતોમાં ઘટાડો થયો છે , જ્યારે ૧૨.૮ ટકાએ કહ્યુ કે, કંઇ ફેરફાર થયો નથી : પોલની સેમ્પલ સાઇઝ ૪ હજારથી વધુ છે
નવી દિલ્હી,તા. ૧: લગભગ ત્રણ ચતુર્થાંશ લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ મોંઘવારી નિયંત્રણમાં નથી. આઈએએનએસ-સીવોટર બજેટ ટ્રેકરથી આ જાણકારી મળી છે. પીએમ મોદીના કાર્યકાળમાં આ ઉચ્ચ ટકાવારી છે, જે હેઠળ ૭૨.૧ ટકા લોકો તે માને છે કે મોંઘવારી વધી છે, જયારે ૨૦૧૫માં માત્ર ૧૭.૧ ટકા લોકો આ અનુભવ કરતા હતા.
૨૦૨૦મા માત્ર ૧૦.૮ ટકા લોકોએ કહ્યુ કે, કિંમતોમાં ઘટાડો થયો છે, જયારે ૧૨.૮ ટકાએ કહ્યું કે, કંઈ ફેરફાર થયો નથી. પોલની સેમ્પલ સાઇઝ ૪ હજારથી વધુ છે અને સર્વેક્ષણ માટે ફીલ્ડવર્ક જાન્યુઆરી ૨૦૨૧ના ત્રીજા-ચોથા સપ્તાહમાં કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણનો વિષય કેન્દ્રીય બજેટથી આશા છે.
સર્વેમાં એક સવાલ પર ૭૨.૧ ટકા લોકોએ કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ મોંઘવારી કાબુમાં નથી અને કિંમતો વધી ગઈ છે. ૨૦૧૫ બાદથી મોંઘવારીના મોર્ચા પર મોદી સરકાર માટે આ વખતે સૌથી ઓછો સ્કોર છે.
૨૦૧૫માં આ આંકડો માત્ર ૧૭.૧ ટકા હતો, ૨૦૧૬માં ૨૭.૩ ટકા, ૨૦૧૭માં ૩૬.૮ ટકા, ૨૦૧૮માં ૫૬.૪ ટકા અને ૨૦૧૯માં ૪૮.૮ ટકા હતો. સર્વે કેન્દ્રીય બજેટની પૂર્વ સંધ્યાપર આર્થિક ચિંતાઓને પ્રદર્શિત કરે છે.
કોરોનાને કારણે અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે બેરોજગારી અને ઘટતી આવક લોકો માટે ચિંતાનો વિષય બની છે.