મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

માસૂમ સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-૧થી ગ્રસીત છે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તીરાની જેમ ૬ વર્ષની પરીને પણ મદદ કરશે : પરીના પિતા મુક્તિનાથ ગુપ્તા ગોરખપુરમાં ખાનગી હૉસ્પિ.ની ગાડી ચલાવે છે, પરી જન્મથી આ બિમારીથી ગ્રસિત છે

નવી દિલ્હી,તા.૨૮ : ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના શાહપુર આવાસ વિકાસ કૉલોનીમાં રહેતા ૬ વર્ષની ગરિમા ઉર્ફે પરી સ્પાઇનલની એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. તેણી ફરીથી પોતાના પગ પર ઊભી થાય તે માટે ૨૨ કરોડ રૂપિયાની જરૂર છે. તેણીની સારવાર માટે જે ઇન્જેક્શન આપવું પડે તેમ છે તેની કિંમત ૨૨ કરોડ રૂપિયા છે. પરીના પિતા મુક્તિનાથ ગુપ્તા ગોરખપુરમાં એક ખાનગી હૉસ્પિટલની ગાડી ચલાવે છે. પિતાનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૧માં તેના લગ્ન કુશીનગરની મમતા ગુપ્તા સાથે થયા હતા. લગ્ન થતા જ ઘરમાં અઢળક ખુશી આવી હતી. લગ્ન બાદ બે બાળકો જન્મ્યા હતા. તેમનો નવ વર્ષનો દીકરો અનિકેત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. મુક્તિનાથ અને મમતાને એક છ વર્ષની દીકરી છે, જેનું નામ ગરિમા ઉર્ફે પરી છે. પિતા મુક્તિનાથ ગુપ્તાનું કહેવું છે કે બાળકીના જન્મ બાદ તેની સ્થિતિ જોઈને તેણીને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરોએ કેલ્શિયલ અને વિટામિન્સની ગોળીઓ આપી દીધી હતી અને કહ્યુ હતુ કે બધુ બરાબર થઈ જશે. જ્યારે કોઈ સુધાન ન થયો ત્યારે અમે ગોરખપુર મેડિકલ કૉલેજમાં બતાવવા ગયા હતા. ત્યાં તપાસ બાદ કોઈ ફરક પડ્યો ન હતો. જે બાદમાં દીકરી સંપૂર્ણ રીતે અમારા પર નિર્ભર થઈ ગઈ હતી. દીકરી ચાલી કે ઊભી થઈ શકતી ન હતી.

         થાકીને જ્યારે પરીને દિલ્હી એઇમ્સ ખાતે લાવ્યા ત્યારે માલુમ પડ્યું કે પરીને સ્પાઇન્લ મસ્ક્યુલર એન્ટ્રૉફી જેવી ગંભીર બીમારી છે. જેની સારવાર ખૂબ મોંઘી છે. બાળકીની માતા મમતા ગુપ્તાનું કહેવું છે કે, તેને હંમેશા દીકરીની ચિંતા રહે છે. સ્કૂલે જાય છે ત્યારે હંમેશા મનમાં સવાલ ઊઠતા રહે છે કે તેણી ઠીક તો હશે ને? કારણ કે સામાન્ય ધક્કો લાગે તો પણ તેણી નીચે પડી જાય છે. પછી તે પોતાની રીતે ઊભી નથી થઈ શકતી. જોકે, સ્કૂલ દીકરીની ખૂબ કાળજી રાખે છે. પરિવારે પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મદદ માટે અપીલ કરી છે. પરિવારનું કહેવું છે કે તેમની નાણાકીય સ્થિતિ એવી નથી કે બાળકીની સારવાર કરાવી શકે. પ્રોગ્રેસિવ સ્પાઇનલ મસ્ક્યુલર એન્ટ્રૉફી એક ગંભીર બીમારી છે. જેનાથી માંસપેશીઓ નબળી પડે છે, તેમાં કોઈ તાકાત નથી રહેતી. કમરની નીચેનો ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારીથી વારેવારે ન્યૂમોનિયા થઈ જાય છે. જીન્સમાં જ આ બીમારી હોય છે, જે જ્ઞાનતંતુ ચક્રને સુચારુ રીતે કામ કરવા માટે જરૂરી પ્રોટિનનું નિર્માણ કામ બાધિત કરે છે. જેનાથી જ્ઞાનતંતુ ચક્ર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે અને માંસપેશીઓને નબળી કરી દે છે.

(12:00 am IST)