અંગ્રજોને હરાવી શકતા હોય તો મોદીને કેમ ન હરાવી શકીએ? : રાહુલ ગાંધી
દક્ષીણ તામિલની સેન્ટ ઝેવીયર્સ કોલેજની એજયુકેટર્સ મીટમાં સંબોધન
નવી દિલ્હી તા. ૧ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગમે તેવા વિરોધીઓને કચડી નાખવાની ક્ષમતા ધરાવતા તાકતવાર દુશ્મન ભલે હોય, પરંતુ પ્રેમ અને અહીંસાના માર્ગ પર આગળ વધીને મોદીની રાજનીતિ ચોકકસ ખતમ કરી દેશુ તેવો ધ્રુજારો રાહુલ ગાંધીએ રવિવારે એક સભા સંબોધતા વ્યકત કર્યો હતો.
૬ એપ્રિલના થનાર તામીલનાડુ વિધાનસભા ચુંટણી સંદર્ભે સેંટ ઝેવીયર્સ કોલેજમાં યોજાયેલ એજયુકેટર્સ મીટમાં પરિચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ ભાજપને હરાવવા માટે લોકસમર્થન માંગ્યુ હતુ.
આ દરમિયાન એક સ્પર્ધકના શું મોદી પર દબાણ લાવી શકાશે તેવા સવાલનો ઉતર આપતા તેઓએ જણાવ્યુ હતુ કે લોકોનું શકિતશાળી સમર્થન મળે તો બધુ જ શકય છે. મોટા સપના જોવા એ જ મહત્વપૂર્ણ છે. બની શકે તેમાંથી થોડાકમાં સફળ ન થઇ પણ મહત્વકાંક્ષા તો ઉંચી જ આંકવી જોઇએ. રાહુલ ગાંધીનો પરોક્ષ ઇશારો કેન્દ્રમાં કોંગ્રેસની સતા લાવવાનો હતો.
તેઓએ કહેલ કે અમે એક એવા હરીફ સામે લડીએ છીએ જેઓ દેશના ધન પર હાવી થઇ ગયા છે. વિરોધીઓને કચડી નાખવાની તાકાત તેઓ બહુ ધરાવે છે. પરંતુ અમે આવી પરિસ્થિતીનો આ પહેલા સામનો કરી ચુકયા છીએ. તેમના (મોદી) કરતા પણ કદાવર કહી શકાય તેવા હરીફ (અંગ્રેજો) ને હરાવી ચુકયા છીએ. ત્યારે બ્રીટીશ સામ્રાજયને જો ખદેડી શકતા હોય તો બધુ શકય છે.