ઉપદેશ આપવો હોય તો પહેલા ભકિતનો ઉપદેશ આપીને પ્રારંભ કરજો : પૂ.મોરારીબાપુ
વેસ્ટ બંગાળમાં આયોજીત 'માનસ ગંગાસાગર' શ્રીરામકથાનો ત્રીજો દિવસ
રાજકોટ,તા ૧: 'ઉપદેશ આપવો હોય તો પહેલા ભકિતનો ઉપદેશ આપીને પ્રારંભ કરજો' તેમ પૂ.મોરારીબાપુએ વેસ્ટ બંગાળમાં આયોજીત 'માનસ ગંગાસાગર' શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યુ હતું.
પૂ.મોરારીબાપુએ ગઇ કાલે શ્રીરામકથાના બીજા દિવસે કહ્યુ હતુ કે લક્ષ્મણ રામને અત્યંત પ્રિય છે શંકર પણ રામને અત્યંત પ્રિય છે અને લક્ષ્મણ શંકરનો અંશ એ રીતે શત્રુઘ્ન બ્રહ્માનો અંશ અને ભરતએ વિષ્ણુનો અંશ કહી શકાય. રામ એ બધાના બાપનો, બાપ..પરમ તત્વ છે.પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, સ્વરૂપ એક હોય, રૂપ બહિર છે, સ્વરૂપ આંતરિક હોય, સ્વરૂપનું ભાન ધ્યાનથી જ થાય છે. બાપુએ કહ્યુ કે બુધજન ઘણાં હોય બુધ્ધ રૈદાસ જેવા મીરા, કબીર જેવા ચોખેબાલી જેવા હોય છે. બુધજન ધર્મગુરૂ છે, બુધ્ધજન સદગુરૂ છે. સાંભળનારાઓની ક્રાઇસિસ છે. બરાબર સાંભળે એવાઓનો દુકાળ પડ્યો છે. બુધ અને બુધ્ધમાં અંતર છે. બુધ્ધ ન સ્વામી, ન કીંકર, એ સામાન્યનો હમસફર હોય છે. બુધ્ધજન ખોટાનો સંગી નથી કે અસંગી પણ નથી પણ એને કોઇનો અસ્વીકાર નથી. બાપુએ કહ્યુ કે મૈં નહીં આ રહા, માનસકી આપકે નામ ચીઠ્ઠી હૈ. બુધ પુરૂષ ઘર-ઘર નથી જતા, સદગુરૂ ઘર -ઘર જાય છે.