સરકારની ચૂપકીદીથી ખેડૂતો સામે મોટી કાર્યવાહી સંકેત
દિલ્હી સરહદે ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં અડગ : કૃષિ કાયદા પર સમાધાન ન થાય ત્યાં સુધી ખેડૂતો પાછા નહીં જાય, ૨૪ માર્ચે સંખ્યાબંધ સ્થળોએ મહાપંચાયત
નવી દિલ્હી, તા. ૧ : ભારતીય કિસાન યુનિયનના નેતા અને ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા કેટલાક દિવસથી સરકારની ચૂપકીદી એ વાત તરફ ઈશારો કરી રહી છે કે, સરકાર આંદોલન સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. રવિવારે રાતે ટિકૈતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, છેલ્લા ૧૫-૨૦ દિવસથી કેન્દ્ર સરકાર ચૂપ બેઠી છે અને એ વાતનો સંકેત મળી રહ્યો છે કે, કશુંક તો થવાનુ છે. સરકાર આંદોલન સામે કોઈ પગલા ભરવા માટે હિલચાલ કરી રહી હોય તેમ લાગે છે. તેમણે કહ્યુ હતુ કે, જ્યાં સુધી નવા કૃષિ કાયદા અંગે સરકાર સમાધાન નહીં કરે ત્યાં સુધી ખેડૂતો પાછા નહી જાય.
ખેડૂતો તૈયાર છે. તેઓ ખેતીનુ પણ ધ્યાન રાખશે અને આંદોલન પણ કરશે. સરકારને જ્યારે સમય મળે ત્યારે અમારી સાથે વાટાઘાટો કરે. દેશમાં ૨૪ માર્ચે સંખ્યાબંધ સ્થળોએ મહાપંચાયત યોજવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ,૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર જે પણ બબાલ થઈ હતી તે સરકારે જ ઉભી કરી હતી. હવે આગામી દિવસોમાં ઘઉંની તૈયાર ઉપજ બજારમાં આવશે. જો સરકાર ખેડૂતોના ઘઉં એમએસપી પર નહીં ખરીદે તો તેના માટે સરકાર જવાબદાર હશે.