દેશભરમાં સકંજો કસતો કોરોનાનો ભરડો
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા કુલ ૨૯૯૪ કેસ નોંધાયા
ભારતમાં કોરોનાના કુલ કેસ ૪.૪૭ કરોડ થઈ ગયા
નવી દિલ્હી, તા.૧: ભારતમાં શનિવારે ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨,૯૯૪ નવા કેસ સામે આવ્યા. તેની સાથે હવે સક્રિય કેસ ૧૬,૩૫૪ થઈ ગયા છે. શુક્રવારે ભારતમાં કોરોનાના ૩,૦૯૫ કેસ સામે આવ્યા હતા. તાજેતરના સંક્રમણના કેસ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસ ૪.૪૭ કરોડ થઈ ગયા છે. અપડેટ કરાયેલા આંકડાઓ સાથે ૯ મૃત્યુ ઉમેરાતા મૃત્યુની સંખ્યા હવે વધીને ૫,૩૦,૮૭૬ થઈ ગઈ છે.
માહિતી અનુસાર દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં ૨-૨ , ગુજરાતમાં ૧ અને કેરળમાં ૨ લોકો કોરોના સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા હતા. જો કુલ કેસ સાથે તુલના કરવામાં આવે તો એક્ટિવ કેસ માત્ર ૦.૦૪ ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૭ ટકા થઈ ગયો છે.
જ્યારે દરરોજનો પોઝિટિવિટી રેટ ૨.૦૯ ટકા અને અઠવાડિક પોઝિટિવિટી રેટ ૨.૦૩ ટકા નોંધાયો છે. સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને ૪,૪૧,૭૧,૫૫૧ થઈ ગઈ છે.