શહેરમાં બપોર સુધીમાં કોરોનાના વધુ ૪૨ કેસઃ કુલ આંક ૩૨૬૨
ગઇકાલે ૩૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા કુલ ડિસ્ચાર્જ ૧૬૪૫ : છેલ્લા બે દિવસથી કેસનો આંક ૮૦ પર પહોંચ્યો
રાજકોટ, તા.૧: શહેરમાં આજે બપોરે સુધીમાં ૪૨ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક ૩૨૬૨એ પહોંચ્યો છે. ગઇકાલે ૩૮ દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ ૧૬૪૫ થતા રિકવરી રેટ ૫૧.૦૮ ટકા થયા છે. જયારે છેલ્લા બે દિવસથી શહેરમાં કોરોના કેસનો આંક ૮૦ પર પહોંચ્યો હતો.
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૪૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૬૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૬૪૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૧.૦૮ ટકા રિકવરી રેટ થયો છે.
શહેરમાં કોરોના કેસનો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસ એટલ કે, રવિવારે ૮૩ તથા સોમવારે ૮૧ કેસ નોંધાયા હતા.
ગઇકાલે કુલ ૨૪૩૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૩૨ ટકા થયો હતો. જયારે ૩૮ દર્દીઓને સાજા થયા હતા.
આજ સુધીમાં કુલ ૬૫,૩૩૪ કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ૩૨૬૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૪.૯૨ ટકા થયો છે.