ડોકટર કફીલખાનને તરત મુક્ત કરવા અલ્હાબાદ કોર્ટનો આદેશ
રાષ્ટ્રીય સુરક્ષા ધારો લાગુ થઈ શકે તેવો અપરાધ નથી : ગોરખપુરના ડોક્ટર તેમના સેવા કાર્યોથી ખૂબજ લોકપ્રિય હતા, તેમનું ભાષણ ભાઈચારો ફેલાવે એવું હોવાનો દાવો
અલ્હાબાદ, તા. ૧ : અલ્હાબાદ હાઈકોર્ટે ગોરખપુરના ડૉક્ટર કફીલ ખાનને તત્કાળ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે ડૉક્ટર કફીલ ખાનની રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરી હતી. કોર્ટે આ કાયદો તેમની પર લાગુ ન થઈ શકે તેમ કહીને કહ્યું હતું કે, તેમણે કરેલું ભાષણ તો બે સમુદાય વચ્ચે ભાઈચારો ફેલાવે તેવું હતું. તેનાથી કોઈ વૈમનસ્ય ફેલાતું નહોતું.
ડૉક્ટર કફીલ ખાનની માતા નુઝહત પરવીને પોતાના પુત્રને મુક્ત કરવા માટે અલાહાબાદ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી.નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના નવા રજિસ્ટર અંગે ડૉક્ટર કફીલ ખાને ભડકામણું ભાષણ કર્યું હોવાનો તેમના પર આરોપ હતો. અલીગઢના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે ડૉક્ટર કફીલ ખાનની રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરી હતી. છેલ્લા થોડા મહિનાથી ડૉક્ટર કફીલ ખાન મથુરાની જેલમાં કારાવાસ ભોગવી રહ્યા હતા.ડૉક્ટર કફીલને મુક્ત કરવાનો ચુકાદો આપતાં અલાહાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે ડૉક્ટર કફીલ ખાનને રાષ્ટ્રીય સુરક્ષા ધારામાં પકડવા પડે એવો કોઇ કેસ બનતો નથી. તેમને કારાવાસમાં રાખવાનો સમયગાળો પણ ગેરકાયદે હતો.
અગાઉ તેમને ત્રણ માસ માટે રાસુધા હેઠળ પકડ્યા હતા. પછી એ જોગવાઇ બીજા ત્રણ માસ લંબાવાઇ હતી. હાઇકોર્ટે એ સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદે ગણાવીને તેમને તત્કાળ મુક્ત કરવા. છેલ્લા છ માસથી ડૉક્ટર કફીલ ખાન કારાવાસ ભોગવી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ડૉક્ટર કફીલ ખાનને મુક્ત કરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પોતાનાં સેવાકાર્ય દ્વારા ડૉક્ટર કફીલ ખાન ખાસ્સા લોકપ્રિય હતા.