ટાટા ગ્રુપે ખરીદેલી એર ઈન્ડિયા પર ૩૮૩૬૬ કરોડનુ દેવુ અને તેની સામે ૪૫૮૬૩ કરોડની પ્રોપર્ટી
નવી દિલ્હી, તા.૧: સરકારની એરલાઈન એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપે સૌથી વધારે બોલી લગાવી છે. હવે એર ઈન્ડિયાની માલિકી ટાટા ગ્રૂપની થઈ ગઈ છે.
સરકારે કેટલાક વર્ષોથી એર ઈન્ડિયાને વેચવા માટે કાઢી હતી અને આ પહેલાનો સરકારનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. સરકાર દ્વારા એર ઈન્ડિયાને વેચવા પાછળનુ મુખ્ય કારણ એર ઈન્ડિયા પરનુ દેવુ છે.
સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી કે, એર ઈન્ડિયા પર ૩૮૩૬૬ કરોડ રૂપિયાનુ દેવુ છે. સરકારે સાથે સાથે એવુ પણ કહ્યુ હતુ કે, જો એરલાઈન નહીં વેચાય તો તેને બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
મળતી જાણકારી પ્રમાણે ૩૧ માર્ચ,૨૦૨૦ સુધીમાં એર ઈન્ડિયાની ફિકસ પ્રોપર્ટી ૪૫૮૬૩ કરોડ રૂપિયા હતી. જેમાં જમીન, બિલ્ડિંગ, એરક્રાફ્ટસનો કાફલો તેમજ એન્જિન સામેલ છે.
સરકારે અગાઉ પણ કહ્યુ છે કે, એર ઈન્ડિયા વેચાશે તો પણ તેમાં કામ કરતા કર્મચારીઓનુ ધ્યાન રાખવામાં આવશે અને તેમનુ ભવિષ્ય સુરક્ષિત રહેશે.
સરકારે ગયા વર્ષે જ એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી અને પ્રાઈવેટ પ્લેયર્સ પાસે બિડ મંગાવ્યા હતા.