ખેડૂતોમાં મતભેદ ?
ટિકૈત આંદોલન ચાલુ રાખવા પર અડગ પરંતુ સિંધુ બોર્ડર પરથી હટવા લાગ્યા લંગર
નવી દિલ્હી તા. ૧ : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતનું કહેવું છે કે જયાં સુધી કેન્દ્ર સરકાર MSP ગેરંટી કાયદો, વીજળી કાયદા સહિત અનેક બાબતો પર સહમત નહીં થાય ત્યાં સુધી આંદોલન પાછું નહીં આવે. તેમના મંતવ્યને લઈને ખેડૂતોના સંગઠનોમાં મતભેદ છે. એક તરફ પંજાબના અનેક ખેડૂત સંગઠનોએ ઘરે પરત ફરવાની વાત કરી છે, તો બીજી તરફ બુધવારે યોજાનારી ૪૦ સંગઠનોની બેઠક પણ રદ્દ કરી દેવામાં આવી છે. ૪ ડિસેમ્બરે સંયુકત કિસાન મોરચાની બેઠક યોજાવાની છે, જેમાં ભવિષ્યની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે. પરંતુ આ દરમિયાન ખેડૂતો સિંઘુ બોર્ડર અને ગાઝીપુર બોર્ડરથી મોટી સંખ્યામાં જતા જોવા મળે છે. બંને મોરચે ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે.એટલું જ નહીં સિંઘુ બોર્ડર પર છેલ્લા એક વર્ષથી ચાલતો લંગર હવે બંધ થઈ ગયો છે. આ લંગરનું આયોજન અમેરિકાના કેલિફોર્નિયાના ગુરૂદ્વારા સાહિબ રિવરસાઇડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લંગરના આયોજકો પોતાનો સામાન પેક કરીને પંજાબ પરત ફર્યા છે. આ લોકો ૫ ટ્રકમાં માલ ભરીને પરત ફર્યા હતા. આ લંગરની સ્ટિયરિંગ કમિટી સાથે જોડાયેલા હરપ્રીત સિંહે કહ્યું કે આ લંગર ૧લી ડિસેમ્બર ૨૦૨૦થી શરૂ કરવામાં આવ્યું હતું, જયારે આંદોલનકારીઓ સિંઘુ બોર્ડર પર માત્ર ૫ દિવસમાં પહોંચ્યા હતા. હવે અમે પંજાબ પરત ફરવાનું નક્કી કર્યું છે. પરંતુ જો આંદોલનકારી ખેડૂતો પાછા આવશે અને લંગર સેવાની જરૂર પડશે તો અમે ફરી પાછા આવીશું.
તેમણે કહ્યું કે અમે સિંઘુ બોર્ડર પર લંગર માટે ૨૭ કામદારો રાખ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ આ કાર્યમાં જોડાયેલા હતા. હવે ખેડૂતોની જીત થઈ છે, અમે હવે એવા સ્થળોએ જવાનું નક્કી કર્યું છે જયાં લોકોને લંગર સેવાની જરૂર છે. આ સિવાય અન્ય એક લંગર હવે બંધ થઈ ગયું છે અને આયોજકો પંજાબ જવાની તૈયારી કરી રહ્યા છે. જો કે, હજી પણ આવી ઘણી લંગર સમિતિઓ છે, જે આંદોલન ચાલુ રહે ત્યાં સુધી દિલ્હીની સરહદો પર રહેવાની વાત કરી રહી છે. પંજાબમાં લંગર સમિતિઓની વાપસી સૂચવે છે કે દિલ્હીની સરહદો પર આંદોલનકારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને લોકો ધીમે ધીમે પાછા ફરી રહ્યા છે.