ઉતરપ્રદેશના ફિરોઝાબાદમાં ભીષણ આગઃ એક જ પરિવારના ૩ બાળકો સહિત ૬ લોકોના મોત
આગનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છેઃ આગને કાબૂમાં લેવા માટે આગ્રા, મૈનપુરી, એટાહ અને ફિરોઝાબાદથી ૧૮ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા
લખનૌ, તા.૩૦: ઉતરપ્રદેશના ફિરોઝાબાદના જસરાણા તાલુકાના પધમ શહેરમાં મંગળવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. શહેરના મુખ્ય બજારમાં આવેલા વેપારીની ત્રણ માળની બિલ્ડીંગના ભોંયરામાં બનેલા ફર્નિચરના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી. જેમાં છ લોકોના કરુણ મોત નિપજ્યા છે. વેપારી પરિવારના સભ્યો, દુકાનની ઉપરના બીજા અને ત્રીજા માળે બનાવેલા નિવાસસ્થાનમાં ફસાઈ ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે પરિવારના સભ્યોને બચવાની કોઈ જ તક મળી ના હતી. લગભગ ત્રણ કલાક પછી દોઢ ડઝન જેટલા ફાયર ફાઈટર એ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કાબુમાં લીધા બાદ ફાયર બ્રિગેડના જવાનો ઉપરના માળે પહોંચ્યા હતા. જ્યાં વેપારી પરિવારના છ સભ્યોના સળગેલા મળતદેહ મળી આવ્યા હતા. મળતકોમાં બે મહિલા, એક યુવક અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જસરાણા તાલુકાથી ૧૪ કિમી દૂર પદમ નગરના મુખ્ય બજારમાં રમણ રાજપૂતના ત્રણ માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક્સનો વ્યવસાય છે. તેમનો પરિવાર અને બે પુત્ર બીજા અને ત્રીજા માળે રહે છે.
જસરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ દુકાન ઈલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચરની હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આગને કાબૂમાં લેવા માટે આગ્રા, મૈનપુરી, એટાહ અને ફિરોઝાબાદથી ૧૮ ફાયર ફાઈટર તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૨ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીની પોલીસ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. તેમણે જણાવ્યું કે લગભગ અઢી કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો.
ફિરોઝાબાદના પધમ શહેરમાં આગની ઘટનામાં ૬ લોકોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી. તેમણે ફિરોઝાબાદના અધિકારીઓને તાત્કાલિક રાહત કાર્યમાં લાગી જવા સૂચના આપી હતી. આ સાથે મળતકોના પરિવારજનોને બે-બે લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.