મુખ્ય સમાચાર
News of Wednesday, 30th November 2022

ભારત - ચીનના સંબંધોમાં દખલ ન કરે અમેરિકા

ચીને અમેરિકાને આપી ચેતવણી

નવી દિલ્‍હી તા. ૩૦ : ચીને અમેરિકી અધિકારીઓને ચેતવણી આપી છે કે, તેઓ ભારત સાથેના સંબંધોમાં દખલ ન કરે. યુએસ ડિપાર્ટમેન્‍ટ ઓફ ડિફેન્‍સના હેડક્‍વાર્ટર પેન્‍ટાગોને કોંગ્રેસમાં રજૂ કરેલા રિપોર્ટમાં આ જાણકારી આપી છે. પેન્‍ટાગોને મંગળવારે રજૂ કરેલા એક અહેવાલમાં જણાવ્‍યું હતું કે, વાસ્‍તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત સાથેના તેના મુકાબલા વચ્‍ચે ચીની અધિકારીઓએ સંકટની ગંભીરતાને ઓછી કરવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્‍યો હતો કે, બેઇજિંગનો હેતુ સરહદ પર સ્‍થિરતા સ્‍થાપિત કરવાનો હતો અનેᅠચીનᅠભારત સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોના અન્‍ય ક્ષેત્રોને નુકસાન પહોંચાડે તેવા તણાવને ટાળવા માંગે છે.

ચીનની સૈન્‍ય ઉત્‍પાદન ક્ષમતા પર કોંગ્રેસને આપેલા તેના તાજેતરના અહેવાલમાં પેન્‍ટાગોને કહ્યું, રિપબ્‍લિક ઓફ ચાઇના (PRC) તણાવ ઘટાડવા માંગે છે જેથી ભારત યુએસની નજીક ન જાય. PRCના અધિકારીઓએ અમેરિકી અધિકારીઓને ચેતવણી આપી છે કે, PRCના ભારત સાથેના સંબંધોમાં હસ્‍તક્ષેપ ન કરે. પેન્‍ટાગોને જણાવ્‍યું હતું કે, PLAએ ચીન-ભારત સરહદના એક ભાગમાં ૨૦૨૧ દરમિયાન LAC સાથે સૈનિકોની તૈનાતી અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખ્‍યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે, બંને દેશો (ચીન-ભારત) વચ્‍ચે વાતચીતમાં ન્‍યૂનતમ પ્રગતિ થઈ છે કારણ કે, બંને પક્ષો સરહદ પર કથિત રીતે હટવાનો વિરોધ કરે છે.

એક રિપોર્ટ અનુસાર ‘બંને દેશો અન્‍ય સૈન્‍ય દળને પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે અને તેના કારણે ટકરાવ જેવી સ્‍થિતિ પ્રવર્તી રહી છે. પરંતુᅠચીનᅠકે ભારત બંનેમાંથી કોઈએ આ શરતો સ્‍વીકારી ન હતી. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્‍યું છે કે, ૨૦૨૦નીᅠગલવાન ઘાટીᅠઅથડામણ બાદ બંને દેશો વચ્‍ચે ૪૬ વર્ષમાં સૌથી ગંભીર તણાવ બની ગયો હતો. ૧૫ જૂન ૨૦૨૦ ના રોજ ભારત અને ચીનની સર્વેલન્‍સ ટુકડીઓ ગલવાન ઘાટીમાં એકબીજા સાથે અથડામણ થઈ જેમાં લગભગ ૨૦ ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્‍યો. ચીની અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ગલવાન ઘાટીમાં અથડામણમાં ૪ ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા.

(4:07 pm IST)