કોરોનાની ભયંકર થપાટ
મુંબઇ -અમદાવાદ વચ્ચેની તેજસ થઇ બંધ
બે એપ્રિલથી આગામી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે
મુંબઈ,તા.૨: કોરોના વાયરસના વધતા સંક્રમણનો માર ટ્રેનોના સંચાલન ઉપર પણ પડવા લાગ્યો છે. ભારતીય રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એકસપ્રેસનું સંચાલન એક મહિના માટે બંધ કર્યું છે. પશ્ચિમ રેલવેના પ્રવકતાએ જણાવ્યું કે કોવિડ ૧૯ના વધતા કેસ જોતા મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેન(૮૨૯૦૨/૮૨૯૦૧) ને બે એપ્રિલથી આગામી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
રેલવેના પ્રવકતાએ જણાવ્યું કે જે લોકોએ તેજસ ટ્રેન માટે ટિકિટ બુક કરાવી છે, તેમને કેન્સલ કરી દેવાઈ છે. તેની સૂચના મુસાફરોને આપી દેવાઈ છે અને તેમના પૈસા પણ પાછા આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ માર્ચમાં લોકડાઉન લાગ્યા બાદ ભારતીય રેલવેએ તમામ ટ્રેનોને રદ કરવામાં આવી હતી અને તેજસ ટ્રેન ઓકટોબર સુધી બંધ રહી. ઓકટોબરમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓછા પેસેન્જર્સના કારણે તેને નવેમ્બરમાં બંધ કરી દેવાઈ અને ત્યારબાદ તેને આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ શરૂ કરાઈ હતી.