લોકોને બેધડક રસી લેવા પણ બન્નેએ કરી અપીલ
અમિતાભ-જેઠાલાલે લીધી કોરોનાની રસીઃ પોતાના અનુભવ પણ દર્શાવ્યા
મુંબઈ, તા. ૨ :. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા...માં પોતાના શાનદાર અભિનયથી લોકોનું દિલ જીતી લેનાર એકટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ કોરોનાની વેકસીન લીધી છે. તેમણે ગઈકાલે પોતાની પત્નિ સાથે કોરોનાનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે સોશ્યલ મીડીયા પર પોતાનો અનુભવ દર્શાવ્યો છે એટલુ જ નહિ પોતાના ચાહકોને એક ખાસ અપીલ પણ કરી છે.
તેમણે પોતાના ચાહકોને કહ્યુ છે કે જો તમે પાત્રતા ધરાવતા હો તો કોરોનાની રસી જરૂર લ્યો..
દરમિયાન દિલીપ જોશી ઉપરાંત મહાનાયક અમિતાભ બચ્ચને પણ કોરોનાની રસી લીધી છે. તેમણે પણ પોતાની તબીયતને લઈને વિસ્તારથી વાત જણાવી છે.
અમિતાભે લખ્યુ છે કે ગઈકાલે પરિવાર સાથે કોવિડ ટેસ્ટ કરાવ્યો, રીઝલ્ટ પણ આવ્યુ, બધા નેગેટીવ છે તેથી વેકસીન લીધી છે. માત્ર અભિષેકને બાદ કરીને બધાએ રસી લીધી છે. તે મુંબઈની બહાર છે. અમિતાભે વેકસીન લીધી તેથી તેમના ચાહકો રાજી થયા છે કારણ કે મહાનાયકની તબીયતને લઈને હંમેશા ચિંતા થતી હોય છે. દિલીપ જોશી, અમિતાભ બચ્ચન ઉપરાંત ધર્મેન્દ્ર, સતિષ શાહ, જોની લીવર, જીતેન્દ્ર, હેમા, સલમાન જેવા દિગ્ગજોએ પણ કોરોનાની રસી લીધી છે. બધા સોશ્યલ મીડીયા પર આ માહિતી આપી રહ્યા છે અને બીજા નાગરીકોને રસી લેવા અપીલ કરી રહ્યા છે.