મહારાષ્ટ્રમાં અનલોક પ્રક્રિયા : 25 જિલ્લામાં દુકાનો હવે રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે
હવે દુકાનો સાંજે 4ને બદલે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે: સરકારે જાહેર કરી ગાઇડલાઇન
મુંબઈ :મહારાષ્ટ્માં કોરોનાના કેસ કેસ ઘટી રહ્યા છે, ત્યારે ધીરે-ધીરે અનલોકની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે, ત્યારે એક મહત્વની જાહેરાત એ કરવામાં આવી છે કે દુકાનો ખોલવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સાંજે વધુ ચાર કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે. આ સંદર્ભમાં સરકારે આજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. એટલે કે હવે દુકાનો સાંજે 4ને બદલે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જે શહેરો અને જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઓછી છે, ત્યાં દુકાનો ખોલવાની સમયમર્યાદામાં વધારો કરી દેવાયો છે.
અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સાંગલીમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે આ માહિતી આપી હતી. હાલમાં દુકાનોને સવારે 7થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે. ઓછા સમય માટે દુકાનો ખોલવાને કારણે ભીડ વધવાની ફરિયાદ હતી. સાંજના 4 વાગ્યા સુધીમાં લોકોને ફરજિયાત ઘરની બહાર નીકળીને ખરીદી કરવી પડે છે, જેના કારણે 4 વાગ્યા પહેલા ભીડ અચાનક વધી જાય છે. જેના કારણે સોશિયલ ડીસ્ટન્સનું પાલન થતું ન હતું. જેના કારણે વેપારીઓએ માંગ કરી હતી કે સમય મર્યાદા વધારવામાં આવે તો એક જ સમયે ભેગી થતી ભીડ પણ ઓછી થશે અને કોરોનાકાળમાં મંદ પડેલા વ્યવસાયને વેગ મળશે.