જોધપુરના એક વ્યક્તિના પેટમાંથી બે દિવસના ઓપરેશન બાદ કાઢવામાં આવ્યા ૬૩ સિક્કા
પેશન્ટ હતાશાની સ્થિતિમાં આ સિક્કા ગળી ગયો હતો
જોધપુર, તા.૨: રાજસ્થાનમાં એક વિચિત્ર ઘટનામાં ડોક્ટરોએ એક વ્યક્તિના પેટમાંથી ઓપરેશન કરીને ૬૩ સિક્કા બહાર કાઢ્યા હતા. જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં બે દિવસ સુધી ઓપરેશન ચાલ્યું હતું. પેશન્ટ હતાશાની સ્થિતિમાં આ સિક્કા ગળી ગયો હતો. હોસ્પિટલમાં લાવતાં પહેલાં પેશન્ટે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ૩૬ વર્ષની વ્યક્તિને એવું હતું કે તે ૧૦-૧૫ સિક્કા ગળી ગયો છે. શુક્રવારથી શરૂ થયેલા બે દિવસના ઓપરેશન દરમ્યાન ડોક્ટરોએ સફળતાપૂર્વક ધાતુનો ગઠ્ઠો બહાર કાઢ્યો હતો.
ડોક્ટરોને એવું જાણવા મળ્યું હતું કે બે દિવસ દરમ્યાન તે ૧ રૂપિયાના ૬૩ સિક્કા ગળી ગયો હતો. માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓ આવું કંઈક કરે એ ઘટના પહેલી નથી. અગાઉ ટ્યુનિશિયાની એક મહિલા યુરિનરી ઇન્ફેક્શનની ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગઈ હતી. ડોક્ટરે એક્સ-રે કઢાવતાં ૪૫ વર્ષની મહિલાના યોનિમાર્ગમાં ૯ સેન્ટિમીટરનો પીવાના પાણીનો એક ગ્લાસ જોવા મળ્યો હતો. મહિલાએ ત્યાર બાદ કબૂલાત કરી હતી કે તે જાતીય આનંદ માટે કાચના ગ્લાસનો ઉપયોગ કરતી હતી.