ભાજપના ધારાસભ્ય વિનય બિહારીનો બિહારના મુખ્યમંત્રીને કટાક્ષ : કહ્યું-નીતીશકુમારને ફિલ્મ નિર્માણનું કોઈ જ્ઞાન નથી
વિનય બિહારી અને નીતીશકુમાર વચ્ચેના વિવાદને ભાજપ અને જેડીયુનો વિવાદ ગણાવાયો
પટના તા.02 : વિનય બિહારી અને નીતીશકુમાર વચ્ચે વિવાદ છેડાયો છે. બિહારના મુખ્યમંત્રીએ તેમના હોમટાઉન નાલંદાના પર્યટન સ્થળ રાજગીરમાં ફિલ્મ સિટીનું નિર્માણ કરવા નિર્ણય કર્યો છે. જેને લઈ ભોજપુરી ફિલ્મના પ્રોડ્યુસર વિનય બિહારીએ ટોણો મારતા કહ્યું હતું કે, નીતીશકુમારને ફિલ્મ નિર્માણનું કોઈ જ્ઞાન નથી.
ઉલ્લેખનીય છે કે, વિનય બિહારી જિતનરામ માંઝીની સરકારમાં સંસ્કૃતિ મંત્રી હતા. ત્યારે તેમણે વાલ્મીકિનગરમાં ફિલ્મ સિટી બનાવવાનો નિર્ણય કર્યો હતો. વાલ્મીકિનગરમાં તાપમાન મોટાભાગે અનુકૂળ રહેતું હોવાથી તેની પસંદગી કરવામાં આવી હતી. નીતીશે તેમનો આ નિર્ણય ફેરવી તોળતા વાદવિવાદ ઊભો થયો છે.
વિનય બિહારીએ પટનામાં નવું સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. તે નિર્ણય પણ નીતીશકુમારે ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે ભોજપુરી બોલનારા લોકોએ જ ભોજપુરી ફિલ્મ ઉદ્યોગને સર્વાધિક નુકસાન પહોંચાડ્યું છે. વિનય બિહારી અને નીતીશકુમાર વચ્ચેના વિવાદને ભાજપ અને જેડીયુ વિવાદના ભાગ રૂપે જ જોવામાં આવી રહ્યો છે. આ વિવાદ હજુ કેટલો આગળ વધશે તે હવે જોવાનું રહે છે.