પિતૃદેવો ભવઃ આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ
પિતૃઓના આર્શિવાદ મેળવવા માટે જપ, તપ, પૂજા, સહિતનો મહિમા
રાજકોટ તા. ર : આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો છે. પિતૃઓના આર્શિવાદ મેળવવા માટે જપ, તપ, પૂજા તથા કાગડાઓને શ્રાદ્ધ (વાસ નાંખવાનો) મહિમા ૧૬ દિવસ સુધી ભાવિકો દ્વારા પિતૃતર્પણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યો કરવામાં આવશે.
માણસનો જન્મ થાય છે ત્યારે ત્રણ ઋણમાં બંધાય છે. દેવ ઋણ...પિતૃ ઋણ તથા મનુષ્ય ઋણ તેમાં દેવ ઋણથી તથા મનુષ્ય ઋણથી મુકત થવા માટે જપ, તપ, યોગ પૂજા વગેરેનંુ વિધાન છે. જયારે પિતૃ ઋણમાંથી મુકત થવા શ્રાદ્ધનું વિધાન છે. શ્રાદ્ધના અનેક પ્રકાર છે. કુટુંબમાં કોઇપણ મનુષ્ય અવગતિએ ગયેલું હોય તો તેના માટે પ્રેતબલિ અથવા ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે છે. અને મોક્ષ માટે નારાયણ બલી શ્રદ્ધા કરવામા આવે છે. લગ્ન પહેલા મૃત્યુ પામેલ હોય તો લીલ પરણાવવામાં આવે છે.
પંચબલી મહા શ્રાદ્ધ જે કુટુંબના બધાજ સભ્યોને મોક્ષ આપનારૃં છે અને ભાદરવો કારતક, ચૈત્ર માસ જે પિતૃઓ માટે ખાસ કરી વિશેષ છે તેમાં ભાદરવા મહિનામાં વદ પક્ષને પિતૃપક્ષ તરીકે ઓળખીયે છીએ જેમાં જે મનુષ્ય મૃત્યુ પામેલ હોય તેને ત્રીજા વર્ષે મહાલય શ્રાદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ ભાદરવા વદમાં તેની જે મૃત્યુ તિથી હોય તે દિવસે દર વર્ષે તેના પાછળ શ્રાદ્ધ અથવા તો બ્રાહ્મણ ભોજન કરાવામાં આવે છે. આવી રીતે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ આશીર્વાદ સાથે સુખ સંપત્તિ આપે છે.