મેરેટોરિયમ પ્રશ્ને સુપ્રીમકોર્ટ દ્વારા બેંકોની તીખી આલોચના
કોરોના મહામારીને લઇ ધંધા રોજગાર પ્રશ્ને લોકો પરેશાન છે ત્યારે બેંકો વ્યાજ વસુલવામાં વ્યસ્ત છે. તે યોગ્ય નથી : ખરેખર લોકો ડીફોલ્ટ નથી થયા પરંતુ લોકડાઉનને કારણે આવક ન થતા હપ્ના ભરી શકાય તેવી સ્થિતિ નથી
નવી દિલ્હી : સમગ્ર વિશ્વ વ્યાપી કોરોના મહામારીને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં લાખો લોકોને રોજગારી ન મળતા ઉદ્યોગો બંધ રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે સરકારે બેંકોને લોનના હપ્તા પેટે મોરેટોરીયમ જાહેર કરી લોકોને બે તબ્બકે હપ્તા ભરવામાંથી મુકતી આપેલ જેની મુદત ૩૧ ઓગસ્ટે સમાપ્ત થયેલ છે.
લોન મોરેટોરિયમનો સમયગાળો લંબાવવાની બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અશોક ભૂષણના અધ્યક્ષપદ હેઠળ ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સુનાવણી કરી. ગઈકાલે કેન્દ્રના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે લોન મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવી શકાય છે.
વકીલ રાજીવ દત્તાએ આરોપ લગાવ્યો તો કે લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને બેન્ક વ્યાજ પર વ્યાજ માંગી રહી છે. બેન્ક તેને ડિફોલ્ટ માને છે. જ્યારે અમારા તરફથી તે ડિફોલ્ટ નથી. તેમણે જણાવ્યું હતું કે આ બેન્કો માટે આવક નથી. તેથી તેઓ એમ ન કહી શકે કે તેનાથી તેમને નુકસાન જશે. વકીલે જણાવ્યું હતું કે સમગ્ર દેશના બધા ક્ષેત્રમાં ઘટાડો થયો છે અને રિઝર્વ બેન્ક ઇચ્છે છે કે બેન્કો નફો કરે. ભારતીય રિઝર્વ બેન્ક ફક્ત એક નિયામક (Regulator) છે બેન્કની એજન્ટ નથી. લાગે છે કે બેન્કો રિઝર્વ બેન્ક (RBI)ની પાછળ છૂપાઈ ગઈ છે.
બેન્કો વ્યાજ પર વ્યાજ માંગી રહી છે
વકીલ રાજીવ દત્તાએ આરોપ લગાવ્યો હતો કે રિઝર્વ બેન્ક ઇચ્છે છે કે બેન્કો કોરોના કાળમાં પણ નફો કરે. આ યોગ્ય નથી. સરકાર કહી રહી છે કે બધાને એક જ માપદંડ હેઠળ રાહત ન મળી શકે. તે ભલે પુર્નગઠન કરે, પરંતુ પોતાના દેશના નાગરિકોને સજા ન આપો. સરકાર રિઝર્વ બેન્કનો બચાવ કરી રહી છે. દત્તાએ જણાવ્યું હતું કે વ્યાજ પર વ્યાજ લગાવવુ બધી રીતે ખોટું છે.
કોર્ટમાં ક્રેડાઈ તરફથી રજૂ થયેલા વકીલ આર્યમન સુંદરમે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી કરદાતાઓ સાથે પેનલ્ટી વસૂલવી અયોગ્ય છે. તેથી એનપીએ વધી શકે છે. આ સિવાય શોપિંગ સેન્ટર એસોસિયેશન તરફથી હાજર રંજીત કુમારે જણાવ્યું હતું કે ફાર્મા, એફએમસીજી અને આઇટી સેક્ટરથી વિપરીત શોપિંગ સેન્ટરો અને મોલ બંધ રહેવાના લીધે સારી કામગીરી બજાવી શક્યા નથી.
કઈ રીતે રાહત આપી શકાયઃ સુપ્રીમ કોર્ટ
તેના પર સુપ્રીમ કોર્ટે વકીલને પછ્યુ હતુ કે અમે કઈ રીતે રાહત આપી શકીએ છીએ? આ અંગે વકીલે જણાવ્યું હતું કે બેન્કોને કહેવામાં આવે કે તે નફો છોડી દે. વીજ ક્ષેત્રની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બેન્ક દરેક સેક્ટરની સાથે બેસીને તેવો ઉકેલ લાવે જેથી બંનેમાંથી કોઈનું નુકસાન ન થાય. આમ ન થયું તો અર્થવ્યવસ્થા પર તેની ખરાબ અસર થશે.