૯.૫ ટકાની ઉંપર રહેશે દેશનો આર્થિક વૃધ્ધિ દર
અર્થવ્યવસ્થાની ગતિ વધારે રહેશે : એસબીઆઇનો રિપોર્ટ
મુંબઇ તા. ૨ : એસબીઆઇએ બુધવારે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશના જીડીપીનો વૃધ્ધિ દર આરબીઆઇના અનુમાન કરતા વધારે હશે. આ દરમિયાન આર્થિક વૃધ્ધિ દર ૯.૫ ટકાથી ઉંપર રહેશે.
નેશનલ સ્ટેટેરીકસ ઓફિસ (એનએસઓ)એ મંગળવારે બહાર પાડેલ આંકડાઓમાં જણાવ્યું કે, ૨૦૨૧-૨૨ના બીજા ત્રિમાસીકમાં અર્થવ્યવસ્થાનો વૃધ્ધિ દર ૮.૪ ટકા રહ્યો છે, જ્યારે એપ્રિલ-જૂન ત્રિમાસીકમાં તે ૨૦.૧ ટકા રહ્યો હતો.
એસબીઆઇએ પોતાના રિસર્ચ રિપોર્ટ ઇકોરેપમાં કહ્યું કે, અમારૂં માનવું છે કે, જીડીપીનો વાસ્તવિક વૃધ્ધિ દર હવે આરબીઆઇના ૯.૫ ટકાના અનુમાન કરતા વધારે હશે. જીડીપીનો વાસ્તવિક વૃધ્ધિ દર ૧૦ ટકાની આસપાસ રહી શકે છે. આ પહેલા આરબીઆઇએ ઓકટોબરની મૌદ્રિકનીતિ સમીક્ષામાં ચાલુ નાણાંકીય વર્ષ માટે વાસ્તવિક વૃધ્ધિ દરના પોતાના અનુમાનને ૯.૫ ટકા પર જાળવી રાખ્યું હતું. સાથે જ વૃધ્ધિ દર બીજા ત્રિમાસિકમાં ૭.૯ ટકા, ત્રીજા ત્રિમાસીકમાં ૬.૮ ટકા અને ચોથા ત્રિમાસીકમાં ૬.૪૧ ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું.
એસબીઆઇ રિપોર્ટમાં કહેવાયું છે કે, ગયા વર્ષે એપ્રિલ-મે માં સંપૂર્ણ લોકડાઉંન અને જૂન-સપ્ટેમ્બરમાં આંશિક પ્રતિબંધોના કારણે પહેલા છ માસિકમાં વાસ્તવિક જીડીપીને વાર્ષિક આધાર પર ૧૧.૪ લાખ કરોડ રૂપિયાનો ધુંબો લાગ્યો હતો. ત્યાર પછી ૨૦૨૧-૨૨માં અર્થવ્યવસ્થા સુધરતા ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ માસિકમાં ૮.૨ લાખ કરોડ રૂપિયાની વાસ્તવિક ભરપાઇ થઇ. આમ, જીડીપીને કોરોના પહેલાના સ્તરે પહોંચવા માટે હજુ પણ ૩.૨ લાખ કરોડ રૂપિયાની જરૂર છે.