મુખ્ય સમાચાર
News of Saturday, 3rd July 2021

આલ્કોહોલિક હૅન્ડ ડિસઇન્ફેક્ટન્ટના ઉત્પાદન માટેની અત્યાધુનિક સુવિધાનું મંત્રી મનસુખ માંડવીયાએ ઉદઘાટન કર્યું

રસી ઉત્પાદનની વધારે સમજ મેળવવા અને રસી ઉત્પાદનની સમીક્ષા કરવા પૂણેમાં સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી

પુણે :કેન્દ્રીય બંદરો, વહાણવટા અને જળમાર્ગો માટેના રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રી અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે રસી ઉત્પાદનની વધારે સમજ મેળવવા અને રસી ઉત્પાદનની સમીક્ષા કરવા માટે પૂણેમાં સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાના રસી ઉત્પાદન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ફાર્માસ્યુટિકલ્સ વિભાગનાં સચિવ એસ. અપર્ણા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

મનસુખ માંડવિયાએ મહામારી દરમ્યાન સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાની અનુકરણીય ભૂમિકાની પ્રશંસા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર તમામને રસી સુનિશ્ચિત થાય એ માટે આપણા તમામ રસી વિક્સાવનારા અને રસી ઉત્પાદકોને મદદ માટે કટિબદ્ધ છે. તેમણે ઉત્પાદકો સાથે રસીના ઉત્પાદનને વધારવાની ચર્ચા પણ કરી હતી.

ત્યારબાદ, માંડવિયાએ પૂણેના પિમ્પરીમાં હિંદુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ ખાતે આલ્કોહોલિક હૅન્ડ ડિસઇન્ફેક્ટન્ટના ઉત્પાદન માટેની અત્યાધુનિક સુવિધાનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ભારતમાં આવી સુવિધા ધરાવનાર એચએએલ એક માત્ર જાહેર ક્ષેત્રનું સાહસ છે. તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-19 સહિતના તમામ પ્રકારના ચેપ ઓછામાં ઓછા કરવા માટેનું આલ્કોહોલિક આધારિત હાથમાં ઘસવાનું આ હાથ માટેનું જંતુનાશક છે.

તેમણે વધુમાં જણાવ્યું કે તેને પ્રોપેનોલ બેઝ અને ઇથેનોલ બેઝમાં ફોર્મ્યુલેટ કરવામાં આવ્યું છે અને તમામ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા માટે બહુ અસરકારક જંતુનાશક છે.

(12:00 am IST)