પાકિસ્તાનના ઈસ્લામાબાદ સ્થિત ભારતીય એમ્બેસી ખાતે ડ્રોન દેખાયુ
જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલો કરવાના ષડયંત્રનો ખુલાસો થયા બાદ ઇસ્લામાબાદમાં કરતૂત : ભારતે પાકિસ્તાન સરકાર સામે ડ્રોનના મામલાની કડક શબ્દોમાં કરી નિંદા
નવી દિલ્હી :જમ્મુમાં ડ્રોન દ્વારા આતંકી હુમલો કરવાના ષડયંત્રનો ખુલાસો થયા બાદ હવે પાકિસ્તાનના ઈસ્લામાબાદ સ્થિત ભારતીય એમ્બેસી ખાતે ડ્રોન જોવા મળ્યું છે. ભારતે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન સરકાર સામે આ મામલાની કડક શબ્દોમાં નિંદા કરી છે.
વિદેશ મંત્રાલય સાંજે આ મુદ્દે પાકિસ્તાન વિરુદ્ધ નિવેદન જાહેર કરશે. સુત્રો મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે ડ્રોન ફૂટેજની તપાસ કરાઈ રહી છે. મહત્વનું છે કે, ગયા રવિવારે જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલો થયો હતો. ડ્રોન દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં એરબેઝને નુકસાન થયુ હતું. આતંકવાદી હુમલા માટે ડ઼્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. એરબેઝ પર થયેલા હુમલાના આગામી દિવસે આતંકવાદીઓએ મિલેટ્રી સ્ટેશન પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુના કાલુચક સ્ટેશન પર સવારે 3 વાગ્યે ડ્રોન જોવા મળ્યાં હતા
ત્રીજી એક ચોંકાવનારી ઘટનામાં જમ્મુના એરફોર્સ સ્ટેશન સતવારીમાં સતત ત્રીજા દિવસે ડ્રોન દેખાયું હતું જે પછી તમામ એજન્સીઓને એલર્ટ મોડ પર મૂકી દેવાઈ હતી.તથા નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. મંગળવારે સવારે ત્રમ વાર ડ્રોનને લશ્કરી વિસ્તારમાં જોવામાં આવ્યું હતું. જમ્મુમાં ભારતીય વાયુ સેના સ્ટેશન પર થયેલા બે ડ્રોન હુમલાના એક દિવસ બાદ ભારતે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે કહ્યું કે સૈન્ય ઠેકાણાઓ પર થતા ડ્રોનના ઉપયોગને ગંભીરતાથી લેવામાં આવે નહીં તો ભવિષ્યમાં તે મોટો ખતરો સાબિત થઈ શકે છે.