ભગવાન શ્રી કૃષ્ણ રોજ સપનામાં આવીને કહે છે કે યુપીમાં સપાની જ સરકાર બનશેઃ અખિલેશ યાદવ
ચૂંટણી પહેલા યુપીની રાજનીતિમાં ભગવાન શ્રીકૃષ્ણની એન્ટ્રી
લખનૌ, તા. ૪: ઉંત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની રાજનીતિમાં ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી થઈ છે. સપાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે દાવો કર્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણ રોજ મારા સપનામાં આવે છે અને કહે છે કે સમાજવાદી પક્ષની સરકાર જ બનવા જઈ રહી છે અને એ સરકાર જ રામરાજ્ય લાવશે.
પક્ષની ઓફિસમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, ભગવાન શ્રી કૃષ્ણ રોજ મારા સપનામાં આવે છે. હકીકતે ભાજપના રાજ્યસભાના સાંસદ હરનાથસિંહ યાદવે એક પત્ર લખી યોગી આદિત્યનાથને મથુરાથી ચૂંટણી લડવાની માંગણી કરી છે અને કહ્યુ છે કે આ હું ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી પત્ર લખી રહ્યો છું.
જ્યારે આ સવાલ અખિલેશને પૂછાયો તો હળવા અંદાજમાં તેમણે કહ્યુ હતુ કે મારા પણ સપનામાં રોજ ભગવાન શ્રી કૃષ્ણ આવે છે અને કહે છે કે સપાની સરકાર બનવા જઈ રહી છે જે રામરાજ્ય લાવશે.
આ પહેલા તેમણે ગોસાઈ ગંજમાં ભગવાન પરશુરામની મૂર્તિનું અનાવરણ કર્યુ હતુ. આ પહેલા તેમણે કહ્યુ હતુ કે જો મારી સરકાર હોત તો અત્યાર સુધીમાં રામ મંદિર બની ગયુ હોત.