ઓમિક્રોનના ૯૯% દર્દીઓ અઠવાડિયામાં સાજા થઈ ગયાઃ છતાં સતર્ક રહેવાનું કેમ કહે છે ડોકટર્સ?
મોટાભાગના ઓમિક્રોનના દર્દીઓને લક્ષણો દેખાતા નથીઃ એક સપ્તાહમાં તો રિપોર્ટ નેગેટિવ આવી જાય છે, તેમ છતાં તબીબો તેનાથી બચીને રહેવાની અપીલ કેમ કરી રહ્યા છે?
નવી દિલ્હી, તા.૪: દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના કેસ પણ રોકેટગતિએ વધી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે કોવિડ સંક્રમિત થયા છે. પરંતુ રાહત આપનારી બાબત એ છે કે કોરોનાના આ નવા વેરિયન્ટથી સંક્રમિત થનારા મોટાભાગના દર્દીઓ એક જ અઠવાડિયામાં રિકવર થઈ જાય છે. ઓમિક્રોનના ૧૦૫ દર્દીઓની કેસ હિસ્ટ્રીનું વિશ્લેષણ કર્યા પછી આ સાબિત થયું છે. આ ૧૦૫ દર્દીઓમાં સાત બાળકો પણ હતા. આ તમામ દર્દીઓની સારવાર દિલ્હીમાં આવેલી લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના મેડિકલ ડિરેકટર ડોકટર સુરેશ કુમારે અમારા સહયોગી ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ઓમિક્રોન સંક્રમિત લગભગ ૯૯ ટકા દર્દીઓ એક અઠવાડિયામાં સાજા થઈ ગયા. આ વેરિયન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે, પરંતુ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીમાં તે શરીરમાંથી ઝડપથી બહાર પણ નીકળી જાય છે. ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત લોકોને સાજા થવામાં ઓછામાં ઓછા ૭ થી ૧૦ દિવસ લાગતા હતા. અમુક દર્દીઓને તો ૧૦ થી વધારે દિવસ લાગતા હતા. પરંતુ ઓમિક્રોનના આંકડા જણાવે છે કે, ૯૨ ટકા દર્દીઓના આરટી-પીસીઆર ટેસ્ટ અઠવાડિયામાં જ નેટેગિટ આવી જાય છે. પાંચ ટકા દર્દીઓનો આઠમા દિવસે અને ૩ ટકા દર્દીઓનો નવમા દિવસે રિપોર્ટ નેગેટિવ આવે છે.
ડોકટર સુરેશ કુમાર જણાવે છે કે, જે દર્દીઓને ડાયાબિટિસ, હાઈપરટેન્શન અથવા ટીબી જેવી ગંભીર બીમારીઓ હોય તેમને ઓમિક્રોન સંક્રમણ દૂર કરવામાં થોડો વધારે સમય લાગે છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના ઓમિક્રોનના દર્દીઓમાં કોઈ લક્ષણ જોવા નથી મળતા. અને જે દર્દીઓમાં લક્ષણ જોવા મળે છે તે પણ સામાન્ય તાવ, અશકિત, ભૂખ ના લાગવી વગેરે જેવા સામાન્ય લક્ષણો હોય છે. આ નવા વેરિયન્ટથી સંક્રમિત બાળકોમાં પેટમાં દુખાવો અને ડાયેરિયા જેવી ફરિયાદ જોવા મળતી હોય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન મોટા ભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, પરંતુ અત્યારે ભાગ્યે જ કોઈ દર્દીને શ્વાસની સમસ્યા હોય છે.
એક સીનિયર ડોકટર કહે છે કે, લોકનાયક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા ૧૦૫માંથી એક પણ દર્દીને ઓકિસજન સપોર્ટની જરૂર નથી પડી. આજે પણ જે દર્દીઓને ઓકિસજન અથવા વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે તેમનામાં ઓમિક્રોન નહીં પણ ડેલ્ટાનું સંક્રમણ જોવા મળે છે. ઓમિક્રોન અત્યંત ઝડપથી ફેલાય છે, પરંતુ તેના લક્ષણ સામાન્ય હોય છે. આ વાતને સમજાવવા માટે ઈમ્યૂનોલોજિસ્ટ ડોકટર એન કે મહેરાએ હોન્ગકોન્ગમાં કરવામાં આવેલા એક અભ્યાસનો રેફરન્સ આપ્યો. તેમણે જણાવ્યું કે, હોન્ગ કોન્ગમાં વૈજ્ઞાનિકોએ માનવીય ફેફસાને સાર્સ-કોવ ૨ વાયરસના અલગ અલગ વેરિયન્ટથી સંક્રમિત કર્યા. ત્યારે જાણવા મળ્યું કે, ઓમિક્રોને શ્વાસનળીમાં ડેલ્ટાની સરખામણીમાં ૭૦ ગણી વધારે ઝડપથી કોપી તૈયાર કરી. આ પરથી કહી શકાય કે ઓમિક્રોન ઝડપથી ફેલાય છે પરંતુ ફેફસાને નબળા કરવાની ક્ષમતા ઓછી હોય છે.
પરંતુ ડોકટર મહેરાએ કહ્યું કે, ભલે ઓમિક્રોનને કારણે ગંભીર બીમારી ન થતી હોય, તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણકે તેના કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થશે. લક્ષણો ભલે હળવા હોય, પરંતુ બીમારી તો આવશે. હોસ્પિટલોમાં ભીડ પણ વધશે.