૨૦મી મે પછી કોરોના શાંત પડશે
આઈઆઈટી મોડેલનું તારણ
નવી દિલ્હી, તા. ૪ :. કોરોનાના વધતા કહેર વચ્ચે રાહતના એક સમાચાર આવ્યા છે. દેશના કેટલાય મોટા શહેરોમાં ૨૦ મે પછી સંક્રમણના કેસોમાં ઘટાડો થવા લાગશે.
આઈઆઈટી કાનપુરના સીનીયર સાયન્ટીસ્ટ અને પદ્મશ્રી વિજેતા પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલ દ્વારા વિકસીત એક કોમ્પ્યુટીંગ મોડલ સૂત્ર આવો જ કંઈક ઈશારો કરે છે. મોડલ અનુસાર કાનપુર, લખનૌ, પ્રયાગરાજ, કાશી, રાંચી, મુંબઈ, પટણા અને ભોપાલમાં કોરોનાની બીજી લહેર પોતાના ચરમ પર પહોેંચી ચૂકી છે. મેના મધ્ય પછી આ શહેરોમાં ધીમે ધીમે કેસ ઘટવા લાગશે. મોતનો ગ્રાફ પણ નીચો આવશે.
પ્રોફેસર મણીન્દ્ર અનુસાર તેમનુ મોડલ ગયા વર્ષે નોંધાયેલ કેસ અને આ વર્ષે જાહેર થયેલા સંક્રમણના તુલનાત્મક વિશ્લેષણ પર આધારિત છે. કાનપુર, લખનૌ, પ્રયાગરાજ જેવા શહેરોમાં વાયરસનો પ્રકોપ આ મોડલને અનુરૂપ ઘટતો જોવા મળી રહ્યો છે.