સુધીર ચૌધરીએ ઝી ન્યૂઝમાંથી રાજીનામુ આપ્યું
ટ્વિટર પર વિવિધ વાતો થવા લાગી
નવી દિલ્હી તા. ૪ : ઝી ન્યૂઝ સાથે લાંબા સમય સુધી કામ કર્યા બાદ પત્રકાર સુધીર ચૌધરીએ હવે આ સંસ્થાને અલવિદા કહી દીધું છે. સુધીર ચૌધરીના રાજીનામાના સમાચાર આવ્યા બાદથી લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં વ્યસ્ત છે. કેટલાક લોકોનું અનુમાન છે કે તે ટૂંક સમયમાં તેની નવી ચેનલ શરૂ કરશે, જયારે કેટલાક લોકોએ કહ્યું કે તેણે મીડિયા સંસ્થાના માલિકના દબાણમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
સુધીર ચૌધરી જયારથી રાજીનામાનો મામલો સામે આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યો છે. તે તેના પ્રશંસકો દ્વારા કરવામાં આવતી ટ્વિટનો જવાબ પણ આપી રહ્યો છે. કેટલાક લોકોએ એમ પણ લખ્યું છે કે તેઓ તેને મળવા માંગે છે. જેના પર તેમણે આશ્વાસન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં મળશે.
સુધીર ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં કેટલાક લોકો ઝી ન્યૂઝ સાથે વાત કરતા સુધીર ચૌધરીના વખાણ કરી રહ્યા છે. આ સાથે તેમને રાષ્ટ્રવાદી પત્રકાર પણ કહેવામાં આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા સુધીર ચૌધરીએ લખ્યું કે હું જાણતો હતો, તમે મને પ્રેમ કરો છો પણ તમે મને આટલો પ્રેમ કરો છો? મને છેલ્લા ૨ દિવસમાં આનો અહેસાસ થયો. આ એવી મૂડી છે જેને કોઈ છીનવી શકતું નથી.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ સુધીર ચૌધરીના છેલ્લા કાર્યક્રમનો ઉલ્લેખ કરીને દાવો કર્યો છે કે આ કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. સુધીર ચૌધરીએ પોતાના છેલ્લા કાર્યક્રમમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના હોટલમાં રહેવાના ખર્ચ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.
મીડિયા જગતમાં પત્રકાર સુધીર ચૌધરીના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. તેને ટ્વિટર પર ૭.૧ મિલિયન લોકો ફોલો કરે છે, જયારે ફેસબુક પર ૨.૬ મિલિયન લોકો તેને ફોલો કરે છે. તેના દ્વારા શેર કરાયેલા ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
ઝી ન્યૂઝના માલિક સુભાષ ચંદ્રાએ સુધીર ચૌધરીનું રાજીનામું સ્વીકારતા લખ્યું કે, છેલ્લા ૨ દિવસમાં સુધીર ચૌધરી સાથે ઘણી બેઠકો થઈ અને મેં પણ તેમની સાથે રહેવાનો આગ્રહ કર્યો.