મુખ્ય સમાચાર
News of Monday, 4th July 2022

અગ્નિપથ યોજનાને પડકારતો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

સેનામાં ભરતીની નવી યોજના પર હોબાળો : અગ્નિપથ સ્કીમ સામે અરજદારોના વકિલની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમની બેન્ચ સુનાવણી માટે રાજી થઈ

નવી દિલ્હી, તા.૪ : સેનામાં ભરતીની કેન્દ્ર સરકારની નવી સ્કીમ પર હોબાળા બાદ આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. અગ્નિપથ યોજના સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ રાજી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, અગ્નિપથ યોજનાને લઈને બિહાર, યુપી, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં યુવાનોએ હોબાળો કર્યો હતો. અનેક ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકાર દ્વારા ઉપદ્રવીઓ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

અગ્નિપથ યોજનાને પડકારતી અરજી સોમવારે સુપ્રીમ કોર્ટ સામે રાખવામાં આવી હતી. અરજીકર્તાઓએ વકીલને કહ્યું કે, અગ્નિપથ યોજનામાં ભરતી પ્રક્રિયા શરૃ થઈ ચૂકી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર છે. વિશેષ રૃપથી વાયુસેના માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે. વકીલે કહ્યું કે, ૨૦૧૭થી ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગ બાદ વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, નિમણૂક પત્ર સંમત થશે પરંતુ હવે આ યોજના લાવવામાં આવી છે.

અગ્નિપથ સ્કીમ સામે અરજદારોના વકિલની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચ સુનાવણી માટે રાજી થઈ  ગઈ હતી. બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે, અરજીને આગામી અઠવાડિયે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે. અગ્નિપથ યોજનાને લઈને ૨૦ જૂનના રોજ એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કોર્ટ પર કેન્દ્ર સરકાર તરફથી અગ્નિપથ યોજનામાં ભરતીને લઈને જારી નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સંસદની મંજૂરી વગર લાવવામાં આવેલી અગ્નિપથ યોજના અસંવૈધાનિક અને ગેરકાયદેસર છે. તેથી સુપ્રીમ કોર્ટ આ યોજનાને રદ કરે. વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં આ પહેલા પણ અરજી દાખલ કરવામાં આવી હતી કે, એગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલી હિંસાની એસઆઈટી તપાસ કરાવવામાં આવે અને સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવે. આ ઉપરાંત અરજદારે અગ્નિપથ યોજનાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ વિનંતી કરી હતી.

(8:01 pm IST)