નરેન્દ્રભાઈએ સામાજિક કાર્યો માટે અંગતરીતે કરોડો રૂપિયા ફાળવ્યા : પોતાની બચતના પૈસા પણ પાસે રાખતા નથી : ગંગા સફાઈ અભિયાનથી લઈને દીકરીઓના શિક્ષણ માટે દાનમાં આપી દીધા
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અત્યાર સુધીમાં સામાજિક કાર્યો માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી પોતાની બચતનાં પૈસા પણ રાખતા નથી, તે દાનમાં આપે છે. પીએમ મોદીએ તેમની બચત ગંગા સફાઇ અભિયાનથી લઈને દીકરીઓના શિક્ષણ માટે દાન કરી દીધી હોવાનું હિન્દી અખબાર અમર ઉજાલા નોંધે છે.
તેમણે કોરોના સામે લડવા માટે બનાવેલા પીએમ કેર ફંડમાં 2.25 લાખનું દાન આપ્યું છે. આ સિવાય વડા પ્રધાને તેમને મળેલા ભેટોની હરાજીથી પ્રાપ્ત થયેલા 103 કરોડ રૂપિયા પણ દાનમાં આપ્યા છે. સૂત્રો એમ પણ કહે છે કે મોદી સ્વાસ્થ્ય સેવાઓ, વ્યક્તિગત રીતે કોઈપણ પ્રકારની કુદરતી આફતમાં મદદ કરવાનું સતત ચાલુ રાખે છે. મળતી માહિતી મુજબ માર્ચ મહિનામાં રચાયેલા પીએમ કેર ફંડમાં માત્ર 5 દિવસમાં 3076 કરોડ રૂપિયા જમા થયા હતા.
◆ 2019 માં, તેમણે કુંભ મેળાના સફાઇ કામદારોના કલ્યાણ માટે તેમની વ્યક્તિગત બચતમાંથી 21 લાખ રૂપિયા આપ્યા હતા.
◆ 2019 માં, મોદીને દક્ષિણ કોરિયાનો સિઓલ શાંતિ પુરસ્કાર મળ્યો. તેમણે જાહેરાત કરી કે તેઓ નમામી ગંગે પ્રોજેક્ટ માટે 1.30 કરોડની ઇનામ રકમ દાન કરશે.
◆ તાજેતરમાં જ વડા પ્રધાનને મળેલી ભેટોની હરાજીમાં 3.4 કરોડ રૂપિયા એકઠા થયા હતા. જે તેમણે નમામી ગંગે પ્રોજેક્ટમાં દાન આપ્યું.
◆ 2014 માં ગુજરાતના મુખ્ય પ્રધાન પદ છોડ્યા બાદ (વડા પ્રધાન બન્યા પછી), મોદીએ તેમની પૂર્વ સ્ટાફની પુત્રીના લગ્ન માટે 21 લાખનું દાન આપ્યું હતું. આ પૈસા તેની પોતાની બચતનાં હતાં.
◆ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ મોદીને ઘણી ભેટો મળી. તેમની હરાજીથી, તેમણે કન્યા કેળવણી ફંડમાં દિકરીઓના શિક્ષણ માટે 89.96 લાખનું દાન આપ્યું હતું.
◆ વડા પ્રધાન મોદી દ્વારા 2015 સુધી મળેલી ભેટોની પણ હરાજી કરવામાં આવી હતી. તેમાંથી મળેલા 8.35 કરોડ પણ નમામી ગંગા પ્રોજેક્ટ માટે દાનમાં આપ્યાં હતાં.
28 માર્ચે સરકારે પીએમ કેર્સ ફંડને સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે બનાવ્યું હતું. તેનો હેતુ કોરોના જેવી કટોકટી સાથે લડવાની વ્યવસ્થા કરવાનો હતો. કોરોના સમયગાળા દરમિયાન, કોર્પોરેટથી માંડીને સામાન્ય વ્યક્તિઓએ આ ભંડોળ માટે દાન આપ્યું હતું.