પાલઘરમાં ગરબા કરતાં કરતાં યુવકનું મોતઃ સમાચાર સાંભળી પિતાએ પણ લીધા અંતિમ શ્વાસ
મુંબઇ,તા. ૪ : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં એક ગરબા કાર્યક્રમમાં નાચતાં નાચતાં ૩૫ વર્ષીય એક વ્યક્તિનું મોત નિપજયું છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મનીષ નરપજી સોનિગ્રા શનિવાર અને રવિવાર દરમિયાન રાત્રે વિરારના ગ્લોબલ સિટી પરિસરમાં ગરબા કાર્યક્રમમાં નાચતાં નાચતાં પડી ગયો હતો.
મનીષને તેના પિતા નરપજી સોનિગ્રા (૬૬) દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો અને તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોતના સમાચાર સાંભળતાં જ મનીષના પિતા પણ હોસ્પિટલમાં ઢળી પડ્યા અને તેમનું પણ ઘટનાસ્થળે મોત નિપજયું હતું.
જોકે અધિકારીએ જણાવ્યું હતું પિતા-પુત્રના મોતના સંભવિત કારણો વિશે કંઇ જણાવ્યું નથી અને કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણવા મળશે.