પહેલા ૧ કરોડ કેસ આવવામાં લાગ્યા હતા ૧૦ મહિના
કોરોનાની બીજી લહેરમાં ચાર મહિનામાં ૧ કરોડ કેસ
નવી દિલ્હી તા. ૫ : ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા બે કરોડથી વધી ગઇ છે. દેશમાં વીતેલા ૪ મહિનામાં જ એક કરોડ નવા કેસ આવ્યા છે. જ્યારે તેની પહેલાના એક કરોડ કેસમાં ૧૦ મહિના લાગ્યા હતા. જો કે સતત ત્રીજા દિવસે નવા કેસોની સંખ્યા ઘટતા થોડી રાહત મળી છે.
આરોગ્ય મંત્રાલય અનુસાર મંગળવારે ૩.૫૭ લાખ નવા કેસ આવ્યા. જ્યારે સાજા થનાર દર્દીઓનો આંકડો ૩.૨૦ લાખ નોંધાયો છે. સોમવારે ૩.૬૮ લાખ કેસ આવ્યા હતા અને ૩ લાખ સાજા થયા હતા.
શનિવારે એક જ દિવસમાં ૪ લાખથી વધારે કેસ આવ્યા પછી નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. જો કે દરરોજ થતા મોતનો આંકડો હજુ પણ ૩૦૦૦થી ઉપર છે.
દરમિયાન હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે લોકોના જીવ જોખમમાં છે. દિલ્હી જ નહી આજે આખો દેશ ઓકિસજન માટે રોઇ રહ્યો છે અને કેન્દ્ર સરકારના વિધી અધિકારી કહી રહ્યા છે કે ઓકસીજનની અછત માટે ભાવુક ન થવું જોઇએ.