મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

બોલો લ્યો... IPLના ક્રિકેટરોના કાફલા માટે એમ્બ્યુલન્સને ઉભી રાખી દેવામાં આવી : વિડીયો વાયરલ

એક કારચાલકે મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો

અમદાવાદ : કોરોનાને કારણે આખરે આઈપીએલની બાકી મેચો પડતી મૂકાઇ પરંતુ અમદાવાદમાં તેના ખેલાડીઓના કાફલા માટે ચાર રસ્તા ઉપર એમ્બ્યુલન્સને અટકાવવાની શરમજનક ઘટના બની ગઇ. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચારેબાજુથી તંત્રની ટીકા થઇ રહી છે.  જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રદ કરાતા ટ્રાફિક પોલીસની રાહબરીમાંબે લકઝરી બસોમાં ક્રિકેટરોને લઇ જવાઇ રહ્યા હતા.

ક્રિકે્ટરો માટે આ વ્યવસ્થા આમ તો સામાન્ય છે. પરંતુ કોરોના મહામારીના સમયમાં એમ્બ્યુલન્સને અટકાવી ક્રિકેટરોને મહત્વ અપાયું તે દુઃખદ બાબત કહેવાય. જનરલી પણ નિયમ પ્રમાણે એમ્બ્યુલન્સને જ પ્રાયોરિટી આપવી જરૂરી હોય છે. ત્યાં દેશ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓના જીવ કિંમતી છે.

તેવા સમયમાં અમદાવાદમાં પોલીસની ગફલત સમજો કે ગેરસમજ કે પછી આંખ આડા કાન આઈપીએલના ક્રિકેટરોની બસને પસાર કરવા માટે ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી.

ઘટના અમદાવાદના પાંજરાપોળ વિસ્તારની હોવાનું જાણવા મળે છે. જ્યાંથી પસાર થઈ રહેલી ખેલાડીઓની બસને પ્રાથમિકતા આપવા માટે એક એમ્બ્યુલન્સ રોકવામાં આવી હતી. ટ્રાફિકમાં સામા કાંઠે રાહ જોઈ રહેલા એક કાર ચાલકે આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. જેના કારણે વીડિયો વાયરલ થતાં જ પોલીસની ટ્રાફિક વ્યવસ્થા પર સવાલો સર્જાયા હતા.

ખેલાડીઓ મહત્ત્વના છે કે દર્દીઓ એ તંત્ર અને પોલીસ બંનેએ નક્કી કરવું પડશે. શહેર કોરોના સામે લડી રહ્યું છે સમગ્ર રાજ્ય મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે આઈપીએલના ખેલાડીના કાફલાને પસાર કરવા માટે જીવન સંજીવનીનું આવી રીતે અટવાઈ પડવું એ માનવતા માટે પણ શરમજનક બાબત છે. ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

(3:52 pm IST)