યુપીમાં ભારે વરસાદની શકયતા
નદીઓના જળસ્તરમાં ભારે વધારાથી નિચાણવાળા વિસ્તારોને ચેતવણી
લખનૌ, તા.૪: ઉત્તરપ્રદેશમાં ચોમાસાએ ફરીથી ગતિ પકડી લીધી છે. હવામાન વિભાગે રાજધાની લખનૌ સહિત સમગ્ર રાજયમાં કેટલાક દિવસ ભારે વરસાદની શકયતા વ્યકત કરી છે. હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે બંગાળની ખાડીમાંથી આવતા દક્ષિણ પૂર્વના પવનોના કારણે આવું થશે. પહાડો અને અન્ય સ્થળો પર સતત વરસાદ પડવાથી નદીઓના કિનારે વસેલા શહેરોમાં જળસ્તર ઝડપથી વધી રહયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સંકટ ઉભુ થયું છે.
હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જે.પી.ગુપ્તાએ જણાવ્યું કે ચોમાસુ ફરીથી ગતિ પકડી રહયું છે. બંગાળની ખાડીમાંથી આવતા દક્ષિણપૂર્વી પવનોના કારણે યુપી ભારે વરસાદ અને તેજ હવાઓ ફુંકાશે.
આંચલિક મોસમ વિજ્ઞાન કેન્દ્રએ પાંચ ઓગષ્ટ સુધી આગ્રા, અલીગઢ, મથુરા, હાથરસ, ફિરોઝાબાદ, ઝાંસી માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ઘણાં શહેરોમાં ગંગા, યમુના અને અન્ય નદીઓ ખતરાના નિશાના આસપાસ જ વહી રહી છે. બનારસમાં ગંગા ખતરાના નિશાનથી હવે ફકત ત્રણ મીટર જ નીચે છે.