ટેલીકોમ કંપની વોડાફોન-આઈડીયા ભયંકર સંકટમાં: કંપનીના ડાયરેક્ટર અને એક્ઝીક્યુટીવ ચેરમેન કુમારમંગલમ બિરલાએ રાજીનામું આપ્યું.
આવનારો સમય કંપની માટે વધુ કપરો રહેવાની પુરે પુરી શક્યતા, કરોડો ગ્રાહકોમાં પણ ચિંતાનું મોજું
નવી દિલ્હી : ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ જણાવ્યું કે કુમાર મંગલમ બિરલાએ નોન એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અને નોન એક્ઝિક્યુટીવ ચેરમેન પદ છોડી દીધું છે. આ નિર્ણય 4 ઓગસ્ટ 2021થી લાગુ થઈ ગયો છે. વોડાફોન-આઈડિયા બોર્ડ મેમ્બર્સની એક બેઠકમાં બિરલાનું રાજીનામું સ્વીકારી લીધું છે. બોર્ડે સર્વ સંમતિથી હાલના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિમાંશુ કપાનિયાને કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન નિયુક્ત કરી દીધા છે.
ગત મહિને આદિત્ય બિરલા ગ્રૃપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ભારત સરકારે પત્ર લખીને કહ્યું હતું કે, તે વોડાફોન-આઈડિયામાં પોતાની ભાગીદારી સરકારને વેચવા માગે છે. જે બાદ 3 ઓગસ્ટે વોડાફોન આઈડિયાનો શેર 12 ટકા સુધી તૂટ્યો હતો જ્યારે 4 ઓગસ્ટે વોડાફોન આઈડિયાનો શેર 18.92 ટકા ઘટીને 6 રૂપિયા પર બંધ થયો હતો.
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાને લખેલમાં પત્રમાં કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે, રોકાણકારો હવે કંપનીમાં પૈસા લગાવવા માગતા નથી. અને આ એટલા માટે છે કેમ કે AGRની બાકી રકમ પર તેઓને કાંઈપણ સાફ સાફ ખબર પડી રહી નથી.
સત્તાવાર આંકડાઓ મુજબ વોડાફોન આઈડિયા પર 58,254 કરોડ રૂપિયાનું એજીઆર બાકી છે. તેમાંથી કંપનીએ 7854.37 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. જ્યારે 50,399.63 કરોડ રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે. જ્યારે કંપનીનું કહેવું છે કે તેમની ગણતરીના હિસાબથી ફક્ત 21,533 કરોડ રૂપિયા બાકી છે. જો કે સુપ્રીમ કોર્ટે 23 જુલાઈએ એક નિર્ણયમાં આ વાતથી ઈન્કાર કરી દીધો કે કંપનીઓના બાકી એજીઆરની ગણતરી ફરીથી થશે નહીં.