કોરોનાને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકાર એલર્ટ
તહેવારોની સીઝનમાં રાજયોને સાવધાની રાખવા પત્ર દ્વારા ખાસ સૂચના
ભીડ થવાની સંભાવના અંગે રાજય આ માટે સ્થાનિક સ્તરે પાબંધીઓ લગાવી શકે છે : કેન્દ્ર સરકાર
નવી દિલ્હી,તા.૫: કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ નથી એ પહેલા કેન્દ્ર સરકારે તહેવારોને લઈને રાજયોને પત્ર લખ્યો છે જેમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે.
કોરોના વાયરસને લઈને ફરી એકવાર રાજયોને કેન્દ્ર સરકારે એલર્ટ કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજયોના મુખ્ય સચિવોને પત્ર મોકલ્યો છે. જેમાં આવનારા તહેવારોની સીઝનમાં રાજયોને સાવધાની રાખવા જણાવાયું છે.
આ પત્રની મદદથી રાજયોને કહેવાયું છે કે આ તહેવારમાં ભીડ ન થવા દેવાય. રાજય નજર રાખે અને સાથ કોરોનાના નિયમોનું પાલન પણ કરાવવામાં આવે. પત્રમાં ૧૯ ઓગસ્ટે મહોરમ, ૨૧ ઓગસ્ટે ઓણમ અને ૩૦ ઓગસ્ટે જન્માષ્ટમી, ૧૦ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી અને ૫-૧૫ ઓકટોબરે દુર્ગા પૂજાને લઈને સૂચન અપાયું છે.
કેન્દ્ર સરકારની તરફથી રાજયોને કહેવાયું છે કે આ તહેવારોની સીઝનમાં ભીડ થવાની સંભાવના છે. રાજય આ માટે સ્થાનિક સ્તરે પાબંધીઓ લગાવી શકે છે. તેનાથી ભીડ થશે નહીં. એકવાર ફરી વધી રહેલા કોરોના નંબર્સને જોતા નાની ચૂક પણ સંક્રમણને ફેલાવવાનું કારણ બની શકે છે.