ચીન સીમાએ તણાવ વચ્ચે ભારત અને રશિયાની નૌસેનાનો યુદ્ધાભ્યાસ શરૂ સબમરીનોનો ખડકલો
બંગાળની ખાડીમાં બે દિવસ યુદ્ધજહાજોની ધણાધણાટી
નવી દિલ્હી :પૂર્વ લદ્દાખમાં ચીન સાથે જારી સૈન્ય તણાવ વચ્ચે ભારત અને રશિયન નૌસેનાઓએ બંગાળની ખાડીમાં બે દિવસીય સંયુકત યુદ્ધાભ્યાસ શરૂ કર્યેા છે. આ અભ્યાસનો હેતુ વિવિધ સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખી સમન્વયને પ્રોત્સાહિત કરવાનો છે. ભારતીય નૌસેનાના પ્રવકતા કમાન્ડર વિવેક મધવાલે જણાવ્યું કે આ યુદ્ધાભ્યાસનો હેતુ બન્ને દેશોની નૌસેના વચ્ચે સંકલન વધારવા અને એકબીજાની સર્વશ્રે રીતને અપનાવવાનો છે.
ચીનની આક્રમક અને ઉશ્કેરનારી કાર્યવાહીના સામના માટે ભારતે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની નૌસેનાની તૈનાતી વધારી દીધી છે. તેમાં મોટી સંખ્યામાં સબમરીન અને યુદ્ધજહાજો સામેલ છે. આ નૌસૈનિક અભ્યાસનું નામ ઈન્દ્ર રાખવામાં આવ્યું છે. તેમાં જમીન અને હવામાં રહેલા લયાંકને હાંસલ કરવા જેવા અભ્યાસ સામેલ છે. આ અભ્યાસમાં રશિયન યુદ્ધજહાજો એડમિરલ વિનોગ્રાદોવ, એડમિરલ ત્રિબુત્સ અને બોરિસ બૂતોમા ઉપરાંત હેલિકોપ્ટરોનો કાફલો ભાગ લઈ રહ્યો છે. આ યુદ્ધાભ્યાસ પહેલાં રશિયાના વ્લાદિવોસ્તકમાં આયોજિત થવાનો હતો પરંતુ કોરોના મહામારીને કારણે શકય બન્યું નહોતું.