કોઈ વ્યક્તિને ટેસ્ટિંગની જરૂર લાગે તો જ કરાશે : ICMR
કોરોના ટેસ્ટિંગના નિયમમાં મોટો બદલાવ : કેન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો જોઇએ, કોરોનાનું સંક્રમણ ખૂબ વધારે છે
નવી દિલ્હી,તા.૫ : કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ભારતે પોતાની ટેસ્ટિંગ રણનીતિ બદલી છે. અત્યાર સુધી દેશમાં જિલ્લા આરોગ્ય અધિકારી, કોઈ ડૉક્ટર અથવા જે તે વિસ્તારના તંત્ર તરફથી રેન્ડમ તપાસ દરમિયાન જ કોવિડ ૧૯નો ટેસ્ટ થઈ શકતો હતો પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ તેની કોવિડ ૧૯ની તપાસ કરાવી શકે છે. આઈસીએમઆર તરફથી શુક્રવારે કોવિડ-ટેસ્ટિંગ મામલે નવી એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં ટેસ્ટિંગ ઑન ડિમાન્ડ (કોઈ વ્યક્તિને જરૂરી લાગે તો ટેસ્ટિંગ કરાવી શકે)ની છૂટ આપવામાં આવી છે. જોકે, સાથે સાથે આઈસીએમઆર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તે રાજ્ય પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે આ છૂટમાં ફેરફાર કરી શકે છે.
આઈસીએમઆરની એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો બીજા દેશની મુસાફરી કરી રહ્યા હોય કે પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરતા હોય તેમના કોવિડ-૧૯ ટેસ્ટ એન્ટ્રી પોઈન્ટ પર જ નેગેટિવ હોય તો જરૂરી છે. આ ઉપરાંત એવી પણ ભલામણ કરવામાં આવી છે કે કેન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો જોઇએ. એવા શહેરોમાં તો ખાસ જ્યાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધારે ફેલાયું છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જે તે રાજ્ય પોતાની સુવિધા અને જરૂરિયાત પ્રમાણે આ નિયમમાં ફેરફાર કરી શકે છે. આઈસીએમઆર તરફથી એવી પણ સૂચના આપવામાં આવી છે કે, કોરોનાને ટેસ્ટ ને કારણે ડિલિવરી સહિત એક પણ ઇમરજન્સી મેડિકલ સેવા અટકવી ન જોઈએ.
કોરોના ટેસ્ટિંગ સુવિધા ન હોવાને કારણે પ્રેગનેન્ટ મહિલાને બીજે મોકલવામાં આવે તે પણ ઇચ્છનીય નથી. સરકારના આદેશ બાદ લક્ષણ હોય કે ન હોય કોઈ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોએ છેલ્લા ૧૪ દિવસમાં કોઈ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી છે, તેમનામાંથી લક્ષણો ન હોય તેવા મુસાફરોનો પણ ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે હૉસ્પિટલોમાં ગંભીર એક્યૂટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનથી પીડિત તમામ દર્દીઓની તપાસ થશે. આ સાથે જ હેલ્થકેર સેન્ટરમાં હયાત તમામ લક્ષણવાળા લોકોની તપાસ થશે. કોઈ બીજા રાજ્ય કે દેશની યાત્રા કરનાર માટે કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટિવ હોય તે જરૂરી છે.