કોરોના વાયરસના ઝડપથી ફેલાવા માટે પ્રવાસી મજૂરો જવાબદાર છે : રાજ ઠાકરે
આ કામદારો જે સ્થળોએથી આવ્યા છે, ત્યાં પરીક્ષણની પૂરતી સુવિધા નથી : મૂળ સ્થળો પર પાછા ફરનારા પ્રવાસીઓની તપાસ થવી જોઈએ,
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં ખુબ ઝડપી વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઝડપથી પ્રસાર માટે અન્ય રાજ્યોના પ્રવાસી મજુરો જવાબદાર છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ડિજિટલ વાતચીત બાદ રાજ ઠાકરેએ કહ્યું કે, “મહારાષ્ટ્ર એ ભારતનું સૌથી વધુ ઔદ્યોગિક રાજ્ય છે, જે અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કામદારોને આકર્ષિત કરે છે.” આ કામદારો જે સ્થળોએથી આવ્યા છે, ત્યાં પરીક્ષણની પૂરતી સુવિધા નથી. “
મનસેના વડાએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે લોકડાઉન દરમિયાન મેં સૂચન આપ્યું હતું કે, તેમના મૂળ સ્થળો પર પાછા ફરનારા પ્રવાસીઓની તપાસ થવી જોઈએ, પરંતુ તે કરવામાં આવ્યું ન હતું.”
સોમવારની રાતથી મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલા નવા પ્રતિબંધનો હવાલો આપતા, મનસે પ્રમુખે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી બે-ત્રણ દિવસ માટે દુકાનો ખુલ્લી રહેવી જોઈએ. રવિવારે જાહેર કરેલા પ્રતિબંધ મુજબ મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાની દુકાનો, ડ્રગ સ્ટોર્સ અને કરિયાણાની દુકાન સિવાયની તમામ દુકાનો 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
રાજ ઠાકરેએ કહ્યું, ‘સરકાર કહે છે કે પ્રતિબંધો દરમિયાન ઉત્પાદનની મંજૂરી આપવામાં આવશે. જો દુકાનો ખોલવાની મંજૂરી ન હોય તો મેન્યુફેક્ચરીંગ પ્રવૃત્તિ ચાલુ રાખવાનો શું મતલબ છે? " મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના મોટા પ્રમાણમાં નવા કેસો નોંધાયા છે.