મુખ્ય સમાચાર
News of Wednesday, 6th July 2022

મોદી સરકારના બે મંત્રીઓનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ :કેન્દ્રીય મંત્રી નકવી અને RCP સિંહનું રાજીનામું

કેબિનેટની બેઠક બાદ રાજીનામાની જાહેરાત : કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કર્યા હતા વખાણ :નકવીને ઉપરરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાય તેવી શક્યતા

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી  પીએમ મોદીએ  મુખ્તાર અબ્બાસ નકવીનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે પરંતુ તેના એક દિવસ પહેલા તેમણે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં નકવીએ ભાગ લીધો હતો. કેબિનેટની બેઠક બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.

મોદી કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા નકવીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેમણે વિધિવત રીતે મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. 

બિહારમાંથી જેડીયુ ક્વોટાના મંત્રી આરસીપી સિંહે પણ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે

 મોદી સરકારના બે મંત્રીઓના રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. જેમાં મુખ્તાર અબ્બાસ નકવી તેમજ જેડી(યુ) ક્વોટાના આરસીપી સિંહનો સમાવેશ થાય છે. બંને નેતાઓ 6 જુલાઈ પછી કોઈ પણ ગૃહના સભ્ય રહેશે નહીં.  

નકવીને ઉપરરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાય તેવી શક્યતા છે.

નકવી મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી હતા. તેઓ પાર્ટીનો જાણીતો મુસ્લિમ ચહેરો છે અને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ તેમના કામથી ખુશ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને કોઈ મોટી જવાબદારી મળે તેવું રાજકીય વર્તૂળમાં ચર્ચાઈ રહ્યું છે.

(6:51 pm IST)