મથુરામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
શાહી ઇદગાહ પર જળાભિષેકની ધમકી બાદ એલર્ટ
મથુરા તા. ૬ :.. ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ૬ ડીસેમ્બરને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરાયો છે. આખા શહેરને ૬ ઝોનમાં વહેંચી દેવાયો છે. ઠેક ઠેકાણે સુરક્ષા દળો તૈનાત કરીને સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રખાઇ રહી છે. કેટલાક હિંદુવાદી સંગઠનોએ ૬ ડીસેમ્બરે શાહી ઇદગાહ પર જળાભિષેક અને સંકલ્પ યાત્રાની જાહેરાત કર્યા પછી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે પછી તેમણે આ જાહેરાત પાછી ખેંચી હતી અને પ્રશાસને પણ આની કોઇ પરવાનગી નથી આપી.
મથુરામાં અત્યારે બહુ ગરમાવો છે. મથુરાની શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે જીલ્લા અને પોલીસ, પ્રશાસન સંપૂર્ણ સતર્ક છે. જગ્યાએ જગ્યાએ પોલીસ મુકી દેવાય છે અને કલેકટર નવનીતસિંહ સહલ તથા સીનીયર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ડો. ગૌરવ ગ્રોવર સહિત અન્ય સીનીયર અધિકારી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.