દેશના ૭૫ ટકા ભાગોમાં સારા વરસાદનું અનુમાન
હવામાન ખાતુ ૧૫ મેંના સત્તાવાર રીતે ચોમાસાનું પુર્વાનુમાન જાહેર કરશે : દેશમાં સરેરાશ ૯૮ ટકા (પાંચ ટકા વધ ઘટ) વરસાદની સંભાવનાઃ જુનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસુ સક્રિય રહેશે
નવી દિલ્હીઃ મીનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ એમ. રાજીવને કહ્યું છે કે કેરળમાં ચોમાસાનું આગમન ૧ જુન આસપાસ થશે. જો કે સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ દ્વારા ૧૫ મેં આસપાસ કરવામાં આવશે.
એમ. રાજીવને ટવીટ કરી કહ્યું છે કે હવામાન વિભાગના વિસ્તૃત પૂર્વાનુમાન મુજબ કેરળમાં ૧ જુન આસપાસ ચોમાસાનું આગમન થશે પરંતુ આ પ્રારંભીક અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની સત્તાવાર જાહેરાત ૧૫મીના અને વરસાદ સંબંધીત જાહેરાત ૩૧મી મેંના રોજ કરવામાં આવશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આ વર્ષે સામાન્ય રહેવાની શકયતા છે. દેશના ૭૫ ટકા વરસાદ ચોમાસાના લીધે થાય છે. લાંબા ગાળાના હિસાબથી સરેરાશ ૯૮ ટકા સુધી થશે. જેમાં પાંચ ટકાનો વધારો-ઘટાડો થઇ શકે છે.
દેશના ૭૫ ટકા ભાગોમાંં જુનથી સપ્ટેમ્બર વચ્ચે સારા વરસાદના અનુમાન છે. આ સમયગાળા દરમિયાન કુલ ૧૦૩ ટકા વરસાદ પડશે. પરંતુ ઉત્તર ક્ષેત્રના મેદાની વિસ્તારો અને પૂર્વોતર ભારતના કેટલાક ભાગોમાં સમગ્ર સિઝનમાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે.